મોલ કે શો રૂમમાં છેડતી થશે તો લાઇસન્સ રદ-દંડ કરાશે
શહેર પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું જારી : ક્રોસવર્ડ લાયબ્રેરી અને અમદાવાદ વન મોલમાં મહિલા-યુવતીની છેડતીના બનેલા બનાવોના પગલે આકરો નિર્ણય
અમદાવાદ,તા. ૨૭ : શહેરમાં શોપીંગ માટે મોલ અને શો-રૂમ કલ્ચર વચ્ચે છેડતી અને અભદ્ર ચેષ્ટાની ઘટનાઓ બનતાં પોલીસે તકેદારીના આકરા સૂચનો જાહેર કર્યા છે. ખાસ કરીને શોપીંગ મોલ્સ અને શોરૂમ સહિતના સ્થળોએ મહિલા કે યુવતીઓની જાતિય સતામણી રોકવા માટે ટ્રાયલ રૂમ, વોશરૂમ કે કોઈપણ સ્થળે અભદ્ર ચેષ્ટા રોકવાની જવાબદારી સંચાલકની રહેશે તેવું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. એટલું જ નહી, હવે, મોલ, શોરૂમ કે શોપમાં છેડતી થશે અથવા મોલમાં મહિલા ગાર્ડ નહી હોય તો મોલનું લાઈસન્સ રદ કરાશે અથવા તો રૂપિયા ૫૦ હજાર સુધીનો દંડ ફટકારાશે તે મતલબનું જાહેરનામું શહેર પોલીસ કમિશનર દ્વારા જારી કરવામાં આવ્યું છે. શહેર પોલીસ કમિશનરના આ જાહેરનામાને પગલે શહેરના વિવિધ શોપીંગ મોલ્સ અને શો રૂમ્સ સંચાલકોમાં ભારે ફફડાટની લાગણી ફેલાઇ ગઇ છે. જાહેર કરવામાં આવ્યું છે. તાજેતરમાં ક્રોસવર્ડ લાયબ્રેરી અને અમદાવાદ વન મોલમાં મહિલા-યુવતીની છેડતીના બનેલા બનાવોને બાદ પોલીસ તંત્રનો આકરો નિર્ણય લેવાયો છે., જેના ઘેરા પ્રત્યાઘાત સામે આવી રહ્યા છે. પોલીસના આ પ્રકારના નિર્ણયને લઇ શોપીંગ મોલ્સ અને શો રૂમ્સ સંચાલકોમાં નારાજગી અને ડરની લાગણી ફેલાઇ ગઇ છે. અમદાવાદ શહેર પોલીસ કમિશનર એ.કે. સીંઘે જારી કરેલા જાહેરનામા મુજબ, વર્ક પ્લેસ ઉપર જાતિય સતામણીના કિસ્સામાં ત્યાં કામ કરતી મહિલાઓ જ નહીં પણ આ સ્થળની મુલાકાત લેતી મહિલાઓનો પણ સમાવેશ થાય છે. આથી, કાયદાનુસાર મહિલાઓને સુરક્ષીત વાતાવરણ પુરૃં પાડવાની જવાબદારી જે તે મોલ, શોપ, ઓફિસ કે શો રૂમના સંચાલકની બની રહેશે. તાજેતરમાં જ વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલી ક્રોસવર્ડ લાઇબ્રેરી અને અમદાવાદ વન મોલમાં છેડતીનો બનાવ બન્યો હતો. પોલીસે તપાસ કરી અને સામે આવ્યું કે, આ પ્રકારના મોલની શોપમાં કે લાઇબ્રેરી કે અન્ય શોપના ડ્રેસ ટ્રાયલ રૂમ, ચેન્જીંગ રૂમ કે મહિલા ટોયલેટ જેવી જગ્યાઓએ કોઇ પૂરતી વ્યવસ્થા હોતી નથી. પોલીસે તપાસ બાદ આ બંને જગ્યાઓ પર તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી નો એન્ટ્રીના બોર્ડ પણ લગાવી દીધા છે. તપાસમાં એ વાત પણ સામે આવી હતી કે, આ પ્રકારની જગ્યાઓ પર લેડિઝ અને જેન્ટ્સ ટોયલેટની વચ્ચે પૂરતું ડિસ્ટન્સ હોતું નથી. વોશરૂમ કે ચેન્જીંગ રૂમના બારણા ઉપર અને નીચેથી ખુલ્લા હોય છે અને આ પ્રકારના કારણોથી જ આ બનાવ બનતા હોય છે. તમામ સંચાલકોએ કોઈપણ જાતનો જાતિય સતામણીનો બનાવ ન બને તે માટે તકેદારીના પૂરતાં પગલાં ભરવાના રહેશે.