બહેરામપુરામાં વૃદ્ધને લૂંટનાર સગીર સહિત ચારની ધરપકડ
માસ્ટર માઈન્ડ સગીર નિકળતા પોલીસ ચોંકી ગઈ : લૂંટારૂઓનેલૂંટ માટેની ટીપ એનઆરઆઈ વૃદ્ધની નજીકમાં રહેતા ૧૪ વર્ષના છોકરાએ જ આપી હતી
અમદાવાદ, તા. ૨૭ : અમદાવાદના બહેરામપુરા વિસ્તારમાં એનઆરઆઈ વૃદ્ધની આંખમાં મરચાની ભૂકી નાંખીને લૂંટારૂઓએ સેલો ટેપથી બાંધી લૂંટ ચલાવી હતી. આ ઘટનામાં પોલીસે ત્રણ લૂંટારૂઓની સાથે પ્લાન બનાવનારા એક ૧૪ વર્ષના છોકરાની પણ ધરપકડ કરી છે. ચોંકાવનારી બાબત એ છે કે લૂંટારૂઓએ લૂંટ માટેની ટીપ વૃદ્ધની નજીકમાં રહેતા ૧૪ વર્ષના છોકરાએ જ આપી હતી. ઘટનામાં સગીર છોકરો આરોપી નીકળતા પોલીસ પણ ચોંકી ગઈ હતી.
ઘટનાની વિગતો મુજબ, અમદાવાદના બહેરામપુરા વિસ્તારમાં એનઆરઆઈ નરેન રતિલાલ શાહ ૭ વર્ષથી એકલા રહે છે. ગત ૨૫ ફેબ્રુઆરીના રોજ ૩ જેટલા લૂંટારુઓ એનઆરઆઈ નરેન શાહના ઘરે પહોંચ્યા અને 'જેક અકલ દરવાજો ખોલો તેમ કહીને ડોર બેલ વગાડ્યો હતો'. વૃદ્ધે દરવાજો ખોલતા જ ત્રણ લૂંટારુઓ તેમની આંખમાં મરચાંની ભૂકી નાંખી દીધી હતી. જે બાદમાં તેમને સેલો ટેપથી બાંધીને ટીવી, મોબાઈલ અને દાગીનાની લૂંટ ચલાવી હતી. વૃદ્ધ હાલ નિવૃત્ત જીવન ગુજારે છે અને છેલ્લા આઠ વર્ષથી અહીં ઘરે રહે છે. તેમના પત્ની હાલ અમેરિકા ખાતે રહે છે. વૃદ્ધ અમેરિકા અને ભારત બંનેની નાગરિકતા ધરાવે છે. ૩ જેટલા લૂંટારુઓ સિનિયર સીટીઝન આંખમાં ભૂકી નાખી અને બંધક બનાવી ઘરમાં રહેલ ટીવી, મોબાઈલ ,ઘરેણાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. જેની તપાસ કરતા પોલીસે ૧ સગીર સહિત ૪ લોકોને પકડી પાડ્યા છે. મહત્વનું છે કે આ લૂંટ માટે ટીપ આપનાર સગીર હોવાનું સામે આવ્યું છે. મામલે ૩ આરોપીઓની ધરપકડ કરી તે બાદ આ મામલે લૂંટ માટે ટીપ આપનાર સગીરની અટકાયત કરી. તપાસમાં એ પણ સામે આવ્યું છે કે સગીર સહિતના આરોપીઓ ડ્રગ્સના નશાની ટેવ ધરાવતા હતા અને પોતાની પાસે પૈસા ન હોવાથી તેમણે આ લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો.