સુરતના રાંદેર વિસ્તારમાં ભંગારના ગોડાઉનમાં આગ ભભુકતા અફડાતફડી મચી જવા પામી
સુરત: શહેરના રાંદેરમાં મોરાભાગળ ખાતે આજે વહેલી સવારે ભંગારના ગોડાઉનમાં લાગેલી આગ ત્યાં ભારે અફરાતફરી મચી જવા પામી હતી જ્યારે ગોડાઉનમાં સૂતેલા બે થી ત્રણ વ્યક્તિ તરત બહાર નીકળી જતા બચી ગયા હતા.
ફાયર બ્રિગેડ પાસેથી મળેલી વિગત મુજબ રાંદેરના મોરાભાગળ ખાતે બોટનિકલ ગાર્ડન પાસે આવેલ ભંગારના ગોડાઉનમાં આજે વહેલી સવારે ત્યાં કામ કરતા બે થી ત્રણ વ્યક્તિઓ મીઠી નિંદ્રા માણી રહ્યા હતા.
તે સમયે અચાનક ગોડાઉનમાં આગ લાગી હતી. જેથી ત્યાં સૂતેલા બે થી ત્રણ વ્યક્તિઓ તરત બહાર દોડી આવ્યા હતા. બાદ ગોડાઉનમાં જોતજોતામાં આગ ફેલાવાથી ધુમાડાના ગોટેગોટા નીકળવા માંડ્યા હતા.
આ અંગે ફાયર ઓફિસર વસંતભાઈ સૂર્યવંશીને જાણ થતા તરત અન્ય અધિકારી અને ફાયરનો કાફલા સાથે મોરાભાગળ, પાલનપોર અને અડાજણ ફાયર સ્ટેશન ની ગાડી ઘટનાસ્થળે ધસી ગયા હતા.