આસોદર-આંકલાવ રોડ પર બસસ્ટેન્ડ નજીક બપોરના સુમારે પુરપાટ ઝડપે જતા આઇશર ટેમ્પાએ બાઇકને ટક્કર મારતા ચાલકનું કમકમાટીભર્યું મૃત્યુ
આસોદર:આસોદર-આંકલાવ રોડ ઉપર આવેલા મુંજકૂવા ગામના બસસ્ટેન્ડ નજીક ગઈકાલે બપોરના સુમારે પુરપાટ ઝડપે જતા એક આઈશર ટેમ્પાએ આગળ જતા બાઈકને ટક્કર મારતાં ચાલકનું મોત થયું હતુ. આ અંગે આંકલાવ પોલીસે ટેમ્પાના ચાલક વિરૂધ્ધ ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.
અકસ્માતની મળતી વિગતો અનુસાર મુંજકૂવા ગામે રહેતો ૧૮ વર્ષીય સુનીલભાઈ જયંતિભાઈ પઢિયાર આંકલાવની હાઈસ્કૂલમાં ધોરણ ૧૨માં અભ્યાસ કરે છે. ગઈકાલે બપોરના સુમારે તે બાઈક નંબર જીજે-૨૩, એજી-૩૬૪૭ પર સવાર થઈને આંકલાવથી પોતાના ગામ જવા નીકળ્યો હતો. દરમ્યાન સવા બે વાગ્યાના સુમારે મુંજકૂવા સ્ટેન્ડ નજીકથી વળવા જતો હતો ત્યારે પાછળથી પુરપાટ ઝડપે આવી ચઢેલા આઈશર ટેમ્પા નંબર જીજે-૦૧, સીવી-૨૪૧૨એ ટક્કર મારતાં તેને માથામાં, બરડામાં તેમજ બોચીના ભાગે ગંભીર ઈજાઓ થવા પામી હતી જેથી તુરંત જ ૧૦૮ મોબાઈલ વાનમાં આંકલાવની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો. જ્યાં હાલત વધુ ગંભીર હોય કરમસદ મેડિકલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જતા હતા ત્યારે રસ્તામાં અવસાન થયું હતુ.આ અંગે પોલીસે ગુનો દાખલ કરીને ટેમ્પા ચાલકને નંબરના આધારે ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.