ઈડરના વેરાબરમાં બંધ મકાન તસ્કરોનું નિશાન બન્યું:20 તોલા દાગીના સહીત 9.38 લાખની મતાની ઉઠાંતરી થતા પોલીસે તપાસ હાથ ધરી
ઈડર: શહેરના વેરાબરમાં મંગળવારે રાત્રે એક બંધ મકાનમાં ત્રાટકેલ તસ્કરો સોના-ચાંદીના ઘરેણા તથા રોકડ રકમ મળી રૂપિયા 9 લાખથી વધુની મત્તાની ચોરી કરી ફરાર થઈ જતાં ચકચાર મચી ગઈ છે. આ ઘટના અંગે પોલીસે અજાણ્યા તસ્કરો સામે ફરિયાદ નોંધી કાર્યવાહી આરંભી છે.
વેરાબર ગામની પટેલ ફળીમાં રહેતા સુર્યાબેન જશવંતભાઈ પટેલ મંગળવારે રાત્રે જમી પરવારી ઘર બંધ કરી ઘરની ઓસરીમાં સુઈ ગયા હતા. દરમિયાન મધ્યરાત્રિથી બુધવારે વહેલી સવારના કોઈ પણ સમયે ત્રાટકેલ તસ્કરો દરવાજો તોડી ઘરમાં પ્રવેશ્યા હતા. બાદમાં તસ્કરો બેડરૂમમાં રાખેલ તીજોરીના ડ્રોઅર ખોલી તેમાં રાખેલ સોનાના દોરા, વીંટી, મંગલસુત્ર, બુટ્ટી, પાટલા તથા ચાંદીના છડા, ઝાંઝરી મળી રૂપિયા 7,48,000ના ઘરેણા તથા રૂપિયા 1,90,000 રોકડા મળી કુલ રૂપિયા 9,38,000ની મત્તાની તસ્કરી કરી ફરાર થઈ ગયા હતા.