૧૯ મેડીકલ કોલેજ સંલગ્ન હોસ્પીટલો, ૨૩ જિલ્લા હોસ્પીટલોમાં જેનરીક દવા ઉપલબ્ધ
ગાંધીનગર, તા. ૨૭ :. રાજ્યમાં જેનેરીક દવાઓને માર્ગદર્શિકા બાબતે કોંગ્રેસના અમરીષ ડેરના પ્રશ્નના ઉત્તરમાં નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલે જણાવ્યુ હતુ કે, રાજ્યમાં જેનેરીક દવાઓનો ઉપયોગ થાય તે માટે જરૂરી માર્ગદર્શિકા બહાર પાડવામાં આવેલ નથી પરંતુ જરૂરી ઠરાવ તેમજ પરિપત્ર કરવામાં આવેલ છે.
રાજ્યની સરકારી હોસ્પીટલોમાં જેનેરીક દવાઓ ઉપલબ્ધ થાય તે માટે ૧૯ મેડીકલ કોલેજ સંલગ્ન હોસ્પીટલો, ૨૩ જિલ્લા કક્ષાની હોસ્પીટલો, ૧૭ સબ ડિસ્ટ્રીકટ હોસ્પીટલ તેમજ ૩ સામુહિક આરોગ્ય કેન્દ્રો ખાતે દીનદયાળ પ્રધાનમંત્રી જન ઔષધિ સ્ટોર્સ યોજનાના જેનેરીક દવાના સ્ટોર કાર્યરત થયેલ છે.
વધુમાં ગુજરાત મેડીકલ સર્વિસીસ કોર્પોરેશન લિમીટેડ દ્વારા ખરીદવામાં આવતી એસેન્સીયલ ડ્રગ લીસ્ટ મુજબની ૬૫૧ દવાઓ પણ જેનેરીક છે. તેમજ આ દવાઓ તમામ સરકારી હોસ્પીટલો ખાતે ઉપલબ્ધ કરાવી દર્દીઓને વિનામૂલ્યે આપવામાં આવે છે.