ગુજરાત
News of Thursday, 27th January 2022

આણંદ:વિદ્યાનગરમાં જન્મદિવસની ઉજવણી બાબતે થયેલ બોલાચાલીમાં 6 શખ્સોએ યુવક પર હુમલો કરતા પોલીસ ફરિયાદ

વિદ્યાનગર:ખાતે આવેલી ટર્મિનલ ચોકડી પાસે બે દિવસ પહેલા બર્થ-ડે પાર્ટીની ઉજવણી બાબતે થયેલી બોલાચાલીની રીસ રાખીને છ શખ્સોએ એકને ચપ્પુ તેમજ વચ્ચે પડનારને પથ્થર મારીને ઈજાઓ પહોંચાડી અપમાનિત કરતા આ અંગે વિદ્યાનગર પોલીસે એટ્રોસીટી એક્ટની જુદી-જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.

મળતી વિગતો અનુસાર ગત ૨૨મી તારીખના રોજ લાંભવેલ ખાતે રહેતા ફરિયાદી કૃણાલ ફુલાભાઈ ચૌહાણના મિત્ર ચિરાગની બર્થ-ડેની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં દર્શન કનૈયાલાલ રાવલ સહિત મિત્રો સાથે બોલાચાલી થઈ હતી. જેથી ગઈકાલે સાંજના સાડા સાતેક વાગ્યાના સુમારે કૃણાલને ફોન કરીને સમાધાન માટે ટર્મિનલ ચોકડી પાસે બોલાવવામાં આવ્યો હતો. જ્યાં હાજર દર્શનભાઈ કનૈયાલાલ રાવલ, યજ્ઞેશસિંહ સોલંકી, પ્રતિક પટેલ (બન્ને રહેવાસી સંદેશર), નીરજભાઈ યાદવ (સંદેશર), કૃષભ પટેલ (કરમસદ)અને મિહીર ઘનશ્યામભાઈ પટેલ (કરમસદ)એ તું બહુ ફાટી ગયો છુ તેમ જણાવીને અપમાનજનક ભાષાનો પ્રયોગ કરી મિહિરે પોતાની પાસેનુ ચપ્પુ કાઢીને કૃણાલને મારવા જતા તેણે ડાબો હાથ આડો કરી દેતાં હાથે ચપ્પુ વાગ્યું હતુ. ત્યારબાદ તેને ગડદાપાટુનો માર માર્યો હતો.ભાવેશ વચ્ચે પડતાં તેને મિહિરે પથ્થર મારતાં ડાબા હાથે વાગ્યો હતો.

આ અંગે કૃણાલે વિદ્યાનગર પોલીસ મથકે આવીને તમામ વિરૂદ્ઘ ફરિયાદ આપતાં પોલીસે એટ્રોસીટી એક્ટની જુદી-જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે.

(5:25 pm IST)