સાંસદ મનસુખભાઇ વસાવાએ આદિજાતિ પ્રમાણપત્રો બાબતે આદિજાતિ વિકાસ મંત્રીને લખ્યો પત્ર
(ભરત શાહ દ્વારા) રાજપીપળા :રાજપીપળા નિવાસી ભરૂચ સાંસદ મનસુખભાઇ વસાવાએ આજરોજ આદિજાતિ મંત્રી નરેશભાઈ પટેલને પત્ર લખી આદિજાતિ અંગેના પ્રમાણપત્ર બાબતે જાણ કરી છે
પત્રમાં સાંસદે જણાવ્યા મુજબ તા :૨૫-૦૧-૨૦૨૨ ના રોજની મિટિંગમાં હું હાજર રહી શકીશ નહીં પરંતુ મીટીંગના વિષયમાં મને જાણવા મળ્યું તે મુજબ આદિજાતિ અંગેના પ્રમાણપત્રને લઈને મીટીંગ રાખવામાં આવી છે,તેમાં મારે સ્પષ્ટ માનવું છે કે જે રીતે પૂર્વ માનનીય મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની સરકારે આદિજાતિના પ્રમાણપત્ર અંગે જે નિર્ણય લીધો છે , તેમાં કોઈ પણ પ્રકારની બાંધછોડ નહીં કરવી જોઈએ તથા કેટલાક લોકોને આદિજાતિ અંગેના પ્રમાણપત્ર મેળવવામાં થોડી તકલીફ પડે છે , તેવા હળપતિ સમાજ તથા રાઠવા સમાજના જે ખરેખર આદિવાસીઓ છે , તેમના માટે સરકારે કોઈ કમિટી બનાવીને તાલુકા તથા જે તે ગામોનો પ્રવાસ કરીને તેવા લોકો માટે આદિજાતિ અંગેના દાખલાઓ સરળતાથી મળી રહે તેની વ્યવસ્થા કરવી જોઇએ તથા જે ખરેખર સાચા આદિવાસી છે,તેનો સ્પષ્ટ ખ્યાલ તાલુકા તથા જિલ્લાના પ્રવાસ કરવાથી આવી જશે . પરંતુ જે નિયમો બનાવ્યા છે , તેમાં કોઇપણ બાંધછોડ નહીં કરવી જોઈએ અને જો કોઈ બાંધછોડ થશે ,તો ખરેખર સાચા આદિવાસી સમાજની સાથે ખૂબ મોટો અન્યાય થશે . તેવું મારું માનવું છે ,તેથી આવો ઉતાવળિયો નિર્ણય નહીં કરવામાં આવે તેવી મારી નમ્ર વિનંતી છે .