આંકલાવ તાલુકાના મુંજકુવા ગામે ઘરની બહાર રમતી પાંચ વર્ષીય બાળકીની હત્યા કરાયેલ હાલતમાં લાશ મળી આવતા અરેરાટી
આંકલાવ:તાલુકાના મુંજકુવા ગામે આજે સાંજના સુમારે એક પાંચ વર્ષની બાળકીની હત્યા કરાયેલી લાશ મળી આવતાં ચકચાર મચી જવા પામી છે. આ અંગે આંકલાવ પોલીસે ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરી છે. હત્યા પાછળ અંગત અદાવત જવાબદાર હોવાનુ ંચર્ચાઈ રહ્યું છે.
પ્રાપ્ત વિગતો અનુસાર મુંજકુવા ગામના મહાકાળી માતાવાળા ફળિયામાં શૈલેષભાઈ પઢિયાર પોતાની પત્ની અને બે સંતાનો પુત્રી પુર્વી (ઉ. વ. ૫) અને પુત્ર વંશ (ઉ. વ. ૩)ની સાથે રહેતા હતા. આજ ેસાંજના સુમારે તેમની પાંચ વર્ષીય પુત્ર પુર્વી ફળિયામાં છોકરાઓ સાથે રમી રહી હતી. દરમ્યાન સાંજના સાતેક વાગ્યાના સુમારે અંધારું થઈ ગયુ હોવા છતાં પણ પુર્વી ઘરે પરત ના ફરતા તેના માતા-પિતા અને પડોશીઓએ તપાસ હાથ ધરી હતી. જેમાં ઘરથી ત્રણસો મીટર દુર આવેલા ઝાડી-ઝાંખરામાં તેનો મૃતદેહ પડેલો જોવા મળ્યો હતો.