ગુજરાત
News of Tuesday, 26th December 2017

ફરીવખત વડાપ્રધાન મોદીનો અનન્ય માતૃપ્રેમ સામે આવ્યો

મોદીએ ગાંધીનગરમાં હીરા બાના આશીર્વાદ લીધા : મોદીએ માતા હિરાબાના ચરણસ્પર્શ કરી આશીર્વાદ લીધા

અમદાવાદ,તા. ૨૬ : મુખ્યમંત્રી વિજય રૃપાણી અને તેમના પ્રધાનમંડળના શપથવિધિ સમારોહમાં ખાસ હાજરી આપવા આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો અનન્ય માતૃપ્રેમ ફરી એકવાર સામે આવ્યો હતો. વડાપ્રધાન મોદીએ આજે અમદાવાદ એરપોર્ટ પરથી ગાંધીનગર સુધી મીની રોડ-શો યોજયો હતો, ખૂબ મોટી સંખ્યામાં લોકોએ વડાપ્રધાન મોદીને ઉમળકાભેર આવકાર આપ્યો હતો અને તેમનું અભિવાદન કર્યું હતું. એરપોર્ટથી ગાંધીનગર સુધીના મોદીના મીની રોડ-શો દરમ્યાન ઠેર-ઠેર સાંસ્કૃતિક કાર્યક્રમોની ઝાંખી પણ મૂકવામાં આવી હતી. રોડ-શો બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સીધા હીરા બાને મળવા પહોંચ્યા હતા અને તેમના ચરણસ્પર્શ કરી આશીર્વાદ લીધા હતા. મોદીએ તેમની માતાના ખબરઅંતર પૂછી તેમનો અનન્ય માતૃપ્રેમ પ્રગટ કર્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચ્યા ત્યારે રાજયપાલ ઓ.પી.કોહલી, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ, મુખ્યમંત્રી વિજય રૃપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિતના મહાનુભાવોએ સ્વાગત કર્યું હતું. મોદી એરપોર્ટથી સીધા જ ગાંધીનગર જવા રવાના થયા હતા. ભાજપની સતત છઠ્ઠી સરકારની રચના અને શપથવિધિ સમારોહના પ્રસંગમાં તેઓ ખાસ હાજરી આપવા આવ્યા હતા. ગુજરાત વિધાનસભાની તાજેતરની ચૂંટણીમાં ભાજપની જીત બાદ મોદીએ આજે પહેલો મીની રોડ શો કર્યો હતો. મોદીના મીની રોડ શો દરમ્યાન ઠેર ઠેર સાંસ્કૃતિક કાર્યક્રમોની ઝાંખી મૂકવામાં આવી હતી, જે ધ્યાનાકર્ષક રહી હતી. ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિધાનસભા ચૂંટણી દરમ્યાન ભાજપને જીતાડવા માટે ભારે મહેનત કરી દોઢ મહિનામાં ૩૬થી વધુ જાહેરસભાઓ સંબોધી બહુ મહત્વની ભૂમિકા ભજવી હતી. ગુજરાતમાં આટલી બધી વાર આવવા છતાં અને અવારનવાર મુલાકાત છતાં મોદીએ પક્ષ પરત્વેની નિષ્ઠા પહેલા નિભાવી હતી અને માતા હીરાબાને મળવા એક વખત પણ જઇ શકયા ન હતા. પરંતુ આજે સમય કાઢીને પણ તેઓ માતા હીરા બાને મળવા પહોંચ્યા હતા અને તેમને પગે લાગી ચરણસ્પર્શ કરી તેમના આશીર્વાદ લીધા હતા. માતાને મળી તેઓ રાજભવન ખાતે રવાના થયા હતા અને શપથવિધિ સમારોહમાં પોતાની વિશેષ હાજરી આપી સમારોહની શોભા વધાર્યા બાદ બપોરે જ દિલ્હી જવા રવાના થયા હતા.

(8:42 pm IST)