ગુજરાત
News of Tuesday, 26th December 2017

મકરપુરાના તરસાલી તળાવ નજીક 22 વર્ષીય એન્જીનીયરે ફાસો ખાઈ જીવન પતાવ્યું

વડોદરા: શહેરના મકરપુરા વિસ્તારમાં તરસાલી તળાવ પાસે આવેલા આર.કે.પુરમમાં રહેતા રવિન્દ્રભાઇ સાવંત મકરપુરા વિસ્તારમાં જ ગેરેજ ચલાવે છે તેના ૨૨ વર્ષના પુત્ર અમિતે ડિપ્લોમાં સુધી અભ્યાસ કર્યો હતો અને હૈદ્રાબાદ ખાતે નોકરીએ લાગ્યો પરંતુ ત્યાંથી નોકરી છુટી જતા તે ૬ મહિનાથી વડોદરા આવી ગયો હતો અને નોકરી શોધી રહ્યો હતો.

દરમિયાન અમિતના નાનીના આંખનું ઓપરેશન હોવાથી અમિતની મમ્મી અને ૪થા ધોરણમાં ભણતી બહેન નાનીના ઘરે ગયા હતા અને આજે અમિતના પિતા તેઓને તેડવા માટે ગયા હતા.

આ લોકો કાલે સાંજે ૭ વાગ્યે પરત આવ્યા ત્યારે ઘરનો દરવાજો ખુલ્લો હતો અને અમિત રૃમમાં પંખાના હુક પર સાડીથી બનાવેલા ફાંસામાં તરફડિયા મારી રહ્યો હતો.

આ દ્રશ્ય જોઇને અમિતના માતા પિતા હેબતાઇ ગયા હતા અને અમિતના પિતાએ તુરંત ચપ્પુથી સાડીને કાપીને અમિતને નીચે ઉતાર્યો હતો. પણ ૧૦૮ એમ્બ્યુલન્સ પહોંચે તે પહેલા અમિતે પ્રાણ છોડી દીધા હતા.

બીજી કિસ્સામાં વાઘોડિયા રોડ પર પુષ્ટિઘર સોસાયટીમાં રહેતો તુષાર ચીમનભાઇ પરમાર (ઉ.૩૮) રીક્ષા ચલાવીને ગુજરાન ચલાવતો હતો અને સાથે સાથે વાયરિંગનું કામ પણ કરતો હતો.

આ બન્ને ધંધામાં ૨૪ કલાક મજુરી કર્યા બાદ પણ બે ટંક ખાવા જેટલાય પૈસા મળતા નહી હોવાથી તુષાર જીંદગીથી નિરાશ થઇ ગયો હતો અને કાલે બપોરે ઘરમાં સિલિંગ ફેન પર સાડીથી ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો.

(7:05 pm IST)