પેટલાદ: ફાગણીમાં નજીવી બાબતે બે પરિવારો વચ્ચે મારામારી થતા 6ને ઇજા
પેટલાદ:તાલુકાના ફાગણી ગામે બકરીઓ બાંધવાના વાડામાં સિમેન્ટના થાંભલા રોપવા બાબતે બે પરિવારો વચ્ચે મારામારી થતાં પાંચથી છને વત્તાઓછા પ્રમાણમાં ઈજાઓ થવા પામી હતી. પેટલાદ શહેર પોલીસે બંને પક્ષોની સામસામી ફરિયાદો લઈને ગુનાઓ દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો અનુસાર કાળકામાતા મંદિર પાસે રહેતા રતિલાલ સોમાભાઈ તળપદાએ આપેલી ફરિયાદમાં જણાવ્યું છે કે તેઓના ઘરની બાજુમાં બકરીઓ બાંધવાના વાડામાં રાવજીભાઈ સોમાભાઈ તળપદા, લાલજીભાઈ રાવજીભાઈ તળપદા, નટુભાઈ રાવજીભાઈ તળપદા, ફુલાભાઈ રાવજીભાઈ તળપદા તથા કમળાબેન રાવજીભાઈ તળપદા સિમેન્ટના થાંભલા રોપતા હતા. જેથી રતિલાલભાઈએ ઠપકો આપ્યો હતો અને જણાવ્યું હતું કે મારા વાડામાં થાંભલા કેમ રોપો છો. જેથી તમામ મારક હથિયારો લઈને આવી ચઢ્યા હતા અને રાવજીભાઈએ ખોરીવાડી લાકડી મારતાં રતિલાલભાઈ નમી જતાં માથાના પાછળના ભાગે લાકડી વાગતા તેઓ નીચે પડી ગયા હતા.
લાલજીભાઈએ ડંડાથી તેમજ નટુભાઈએ પાવડાના દસ્તાથી માર મારીને ઈજાઓ પહોંચાડી હતી. છત્રસિંહ સોમાભાઈ વચ્ચે પડતાં ફુલાભાઈએ તેમને વાંસથી માર માર્યો હતો જ્યારે અન્યોએ ગાળો બોલીને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી. સામા પક્ષે રાવજીભાઈએ આપેલી ફરિયાદમાં જણાવ્યું છે કે તેઓએ ચરામાં ગાયો બાંધવાના થાંભલા રાખેલા હોય રતિલાલ સોમાભાઈ તળપદા, છત્રસિંહ સોમાભાઈ તળપદા, હસમુખભાઈ ફતાસિંહ તળપદા, રૂપસિંહ ખોડાભાઈ તળપદા, હરેશભાઈ મગનભાઈ તળપદા, મગનભાઈ ગાંડાભાઈ તળપદાએ તમે થાંભલા કેમ નાખેલ છે તેમ કહી ઝઘડો કરી લાકડીઓ લઈ આવીને રાવજીભાઈને પંજા ઉપર લાકડીની ઝાપોટ મારી દીધી હતી. રતિલાલે પોતાની પાસેની લાકડી નટુભાઈને માથામાં મારી, હસમુખભાઈએ લાકડી લાલાભાઈને ડાબા હાથના બાવળા ઉપર મારી દીધી હતી. અન્ય બેએ ગાળાગાળી કરીને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી.