વડોદરા શહેરના રાજમહેલ રોડ પર ધોળા દહાડે બંધ મકાનને નિશાન બનાવી તસ્કરો 1.97 લાખની ચોરી કરી છૂમંતર.....
વડોદરા: રાજમહેલ રોડ પર ધોળે દહાડે ત્રાટકેલી ચોર ટોળકી બંધ મકાનના દરવાજાનો નકુચો તોડીને ૧.૯૭ લાખની મત્તા ચોરી ગઇ હતી.
રાજમહેલ રોડ હાથીપોળમાં શિવમ રેસિડેન્સીમાં રહેતો મૌલિક રજનીકાંત પટેલ જંબુસરની ખાનગી કંપનીમાં સુપરવાઇઝર તરીકે નોકરી કરે છે. રાવપુરા પોલીસ સ્ટેશનમાં તેણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગત તા. ૧૯ મી એ હું મારા નિયત સમયે નોકરી ગયો હતો. અને મારી પત્ની બપોરે તેના પિયર ગઇ હતી. હું નોકરીથી છૂટીને રાતે સાડા આઠ વાગ્યે મારા ઘરે આવ્યો હતો. તે સમયે મારા ઘરના મુખ્ય દરવાજાનો નકુચો તૂટેલો હતો. મેં ઘરમાં જઇને જોયું તો સામાન વેરવિખેર હાલતમાં હતો. મેં મારી પત્નીને કોલ કરતા તે પણ ઘરે આવી ગઇ હતી. મેં ઘરમાં તપાસ કરી તો સોના ચાંદીના દાગીના તેમજ રોકડા બાવીસ હજાર મળીને કુલ રૃપિયા ૧.૯૭ લાખની મત્તા ચોરી થઇ ગઇ હતી. રાવપુરા પોલીસે આ અંગે ગુનો દાખલ કરી ચોર ટોળકીની શોધખોળ હાથ ધરી છે.