જાતિની ખરાઇના બહાને STમાં આદિવાસી ઉમેદવારોને હાજર ન કરતા સાંસદે વાહન વ્યવહાર મંત્રીને લખ્યો પત્ર
(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લા સહિત ગુજરાતમાં એસટી વિભાગની ભરતીમાં પાસ થયેલા ઉમેદવારોને જાતિની ખરાઈનું બહાનું બતાવી ફરજ પર હાજર ન કરતા સાંસદ મનસુખભાઇ વસાવાએ વાહન વ્યવહાર મંત્રીને પત્ર લખી રજુઆત કરી છે.
સાંસદે લખેલા પત્ર મુજબ વર્ષ ૨૦૧૯ માં પાસ થયેલા ઉમેદવારોને હાલમાં ઓર્ડર આપી હાજર કર્યા છે . જેમાં આખા ગુજરાતમાં માત્ર આદિવાસી ઉમેદવારો ( લગભગ ૪૭૯ )ને ડિવિઝન ફાળવેલ હોવા છતાં હાજર કર્યા નથી આ આદિવાસી ઉમેદવારોને હાજર ન કરવા બાબતે વારંવાર પૂછતાં ડિવિઝન માંથી કહેવામાં આવે છે કે જાતિની ખરાઇ કર્યા બાદ ઓર્ડર આપવામાં આવશે
ત્યારે આ પ્રક્રિયા પણ બે વખત કરવામાં આવી છે . જેમાં ચાર મહિના જેટલો સમય વીતી ગયો છે, જ્યારે અન્ય લોકોને હાજર કરી માત્ર એસ.ટી. ઉમેદાવરોને હાજર ન કરવાથી આ ઉમેદવારોને ભવિષ્યમાં સિનિયોરીટીમાં પણ નુકશાન થાય તેમ છે . આદિવાસી વિસ્તારના મોટાભાગના લોકોનું મેરીટ પણ ઊંચું છે છતાં માત્ર જાતિની ખરાઇનું બહાનું યોગ્ય નથી,તો ખરાઇ અંગેની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરી આવા લોકોને ન્યાય મળે તે માટે યોગ્ય ઘટતું કરવા સાંસદે વાહન વ્યવહાર મંત્રી અરવિંદભાઈ રૈયાણી ને પત્ર દ્વારા રજુઆત કરી છે.