અમદાવાદ:ખોખરામાં ઉભરાતી ગટરના ત્રાસથી લોકોને હાલાકી
અમદાવાદ: ખોખરા રૂક્ષમણિબેન હોસ્પિટલથી હાટકેશ્વર સર્કલ સુધી થયેલા ઠેરઠેર ખોદકામ અને ગટરો ઉભરાતા આ વિસ્તારની ૧૨ જેટલી સોસાયટીના લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. ઉભરાતી ગટરોની દુર્ગંધ, મચ્છરોનો ઉપદ્રવ અને દુષિત આવતું પીવાનું પાણી સહિતની સમસ્યાઓ વચ્ચે ઘેરાયેલા લોકો ઝાડા-ઉલટીના રોગચાળામાં સપડાયા હોવાનું સ્થાનિક રહિશોનું કહેવું છે.
ખોખરામાં ગંગામૈયા સોસાયટી, સહદેવ સોસાયટી, કમળલક્ષ્મી સોસાયટી, અમુમૈયા સોસાયટી, છના શેઠની ચાલી, ગઢવી બંગલો, હરિગીરી , સ્વપ્નદીપ, મયૂર, એકતા સહિતના એપાર્ટમેન્ટમાં તેમજ ખોખરા ગુજરાત હાઉસિંગ બોર્ડના અનેક બ્લોકમાં પીવાનું પાણી દુષિત આવતા હજારો લોકો પારાવાર સમસ્યા વેઠી રહ્યા છે. રહિશોના જણાવ્યા મુજબ ગટરો ઉભરાય છે, મ્યુનિ.તંત્ર દ્વારા વારંવાર અને આડેધડ ખોદકામ કરી દેવાય છે પરંતુ સમસ્યાનો કાયમી ઉકેલ લવાતો નથી. કેટલીક જગ્યાએ પીવાના પાણીની અને ગટરની લાઇન લીકેજ થતા પાણી મિશ્રિત થતા દુષિત પાણી આવવાની સમસ્યા છેલ્લા બે અઠવાડિયાથી પ્રવર્તી રહી છે.