ગુજરાત
News of Thursday, 26th November 2020

દુકાનોમાં તોડફોડ કરી લૂંટમાં પીઆઈની વિરૂદ્ધ ફરિયાદ

અસામાજિકો બાદ રાજ્યમાં જમીન માફિયા બેફામ : તારાપુરની વિવાદિત જમીનનો કેસ કોર્ટમાં છે, ખંભાતના પીઆઈના કેટલાક શખ્સો સાથે જમીનમાં ગેરકાયદે કૃત્ય

ખંભાત, તા. ૨૫ : તારાપુરની એક વિવાદીત જમીનનો કોર્ટમાં કેસ ચાલતો હોવા છતાં ખંભાત પીઆઈ સહિત કેટલાક ભરવાડોએ જમીનમાં ઘુસી જઈ દુકાનોમાંથી માલસામાનની લૂંટફાટ ચલાવી તેમજ જેસીબી મશીન દ્વારા દુકાનોની તોડ-ફોડ કરી ફરાર થતાં પોલીસ બેડામાં હડકંપ મચી જવા પામ્યો છે. અંગે દુકાન માલિકો દ્વારા રજૂઆત કરતા પીઆઈ સહિત ૨૫થી ૩૦ માણસોનો ટોળા સામે તારાપુર પોલીસે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી પ્રમાણે તારાપુર ચોકડીએ આવેલી એક વિવાદિત જગ્યાનો કબજો મેળવવા માટે ખંભાત પીઆઈ ડી એસ ગોહિલ સાથે ૨૫થી ૩૦ શખ્સો ચાર જેસીબી મશીનો સાથે ત્રાટકીને ભાઈ-બહેનોને લાકડીઓથી માર મારીને દુકાનોની તોડફોડ કરરીને બેથી ત્રણ લાખની મત્તાની લૂટ કર્યાનો પોલીસમાં ગુનો નોંધાયો છે. ડી એસ ગોહિલે તારાપુર ચોકડીએ આવેલી સર્વે નંબર ૪૬૯ પૈકી ૧માં આવેલી ૨૪.૫૦ ગુંઠા જમીન કોકિલાબેન રમણભાઈ પરમારના પરિવાર પાસેથી વેચાણ દસ્તાવેજથી રાખી હતી. જમીન ઉપર વર્ષોથી પાંચ- દુકાનો કાર્યરત હતી જેમાં ફરિયાદી રિમાક્ષીબેન ભાવીનભાઈ પટેલના દાદા સને ૧૯૭૬થી શ્રી શિવમ કિરાણા સ્ટોર્સ નામની દુકાન ધરાવે છે. દુકાનની બાજુમાં લાલજીભાઈ રણછોડભાઈની હેરકંટિગ સલુન, યાસીનભાઈ શેખની યાસીન ટ્રાન્સપોર્ટની બે દુકાન, દિલિપભાઈ વાઘેલાની ભજીયાની દુકાન, મંજુલાબેન જેન્તીભાઈનું દવાખાનું, બીપિનભાઈ પટેલનું ટ્રેક્ટરનું ગેરેજ તેમજ પ્રિતેશભાઈ ધર્મજવાળાની દુકાન આવેલી છે. વિવાદિત જમીન બાબતે સિવિલ કોર્ટમાં દાવો પણ ચાલી રહ્યો છે. દરમિયાન રાત્રે જમીન વેચાણ રાખનાર પીઆઈ ગોહિલ સહિત ૨૫થી ૩૦ શખ્સો ચાર જેસીબી મશીનો સાથે લાકડીઓ લઈને આવી ચઢ્યા હતા અને દુકાનમાં તોડફોડ કરી હતી. તોડફોડની જાણ થતાં દુકાનના માલિકો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને તોડફોડનો વિરોધ કરતા રિમાક્ષીબેન તેમજ તેમના ભાઈ આશિષને લાકડીઓથી માર માર્યો હતો. જેસીબી મશીન આગળ ઉભા થઈ ગયેલા રિમાક્ષીબેનનો હાથ પકડી કપડાની ખેંચાખેંચ કરીને આબરૂ લેવાનો પણ પ્રયાસ કર્યો હતો. તોડફોડ દરમિયાન બેથી ત્રણ લાખની મત્તા પણ લૂંટી લીધી હતી. બનાવની જાણ થતાં ખંભાત ડીવાયએસપી સહિતનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને કાર્યવાહી હાથ ધરી હતી.

(8:52 pm IST)