ગુજરાત
News of Tuesday, 26th October 2021

આઝાદીનાં અમૃત મહોત્સવનું પાવન પર્વ ભારતનાં જન-જનનું અને દરેકનાં મનનું પર્વ બને તેવો આશાવાદ સેવતા ગુજરાતનાં આદિજાતી વિકાસ મંત્રી નરેશભાઇ પટેલ

રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં ભાગ લેવા આવેલ સશસ્ત્ર દળનાં જવાનોનો કેવડીયા ખાતે ગુજરાત પોલીસ દ્વારા ભવ્ય સન્માન સમારોહ યોજાયો

રાજપીપલા:રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં ભાગ લેવા આવેલ સશસ્ત્ર દળનાં જવાનોનો કેવડીયા ખાતે ગુજરાત પોલીસ દ્વારા ગુજરાતનાં આદિજાતી વિકાસ,અન્ન અને નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતો વિભાગનાં  મંત્રી નરેશભાઇ પટેલની અધ્યક્ષસ્થાને ભવ્ય સન્માન સમારોહ યોજાયો હતો. અધ્યક્ષસ્થાનેથી પોતાનાં પ્રવચનમાં રેલીમાં આવેલા જવાનોને અભિનંદન પણ પાઠવ્યા હતા અને  આઝાદીનાં અમૃત મહોત્સવનું પાવન પર્વ ભારતનાં જન-જનનું અને દરેકનાં મનનું પર્વ બને તેવો આશાવાદ તેમણે સેવ્યો હતો.

 મંત્રી પટેલે ઉપસ્થિત જવાનોને સંબોધતા જણાવ્યુ હતુ કે, ભારતની ચારે દિશામાંથી દેશની સુરક્ષા કરતા વિવિધ વિભાગો દ્વ્રારા સાયકલ અને મોટર સાયકલ મારફતે એકતા રેલીનુ આયોજન કરવામાં આવ્યુ છે જે થકી દેશની જનતાને પ્રત્યક્ષરૂપથી એકતા, આઝાદીનાં અમૃત મહોત્સવનું મહત્વ અને રાષ્ટ્રીય એકીકરણની ભાવનાનોં સુંદર સંદેશો આપ્યો છે અને આ એકતા રેલીનું સમાપન જયાં સરદાર સાહેબની વિશ્વની ઉંચી પ્રતિમાનાં સાંનિધ્યમાં થયુ છે જે પ્રતિમાં પણ સમગ્ર વિશ્વને એકતાનો સંદેશ પ્રસરાવી રહી છે.રેલીમાં ભાગ લેનાર જવાનોએ સમગ્ર રૂટમાં ભારતની વિવિધતામાં એકતા અને ફીટ ઇન્ડીયાનો સંદેશો આપી ભારતવાસીઓને આઝાદીનાં અમૃત મહોત્સવની ઉજવણીને સાર્થક કરવા પોતાનું અમુલ્ય યોગદાન આપ્યુ છે, જેની નોંધ લઇને તમામ સુરક્ષા જવાનોને અભિનંદન પાઠવ્યા હતા.
  આ પ્રસંગે પોતાનાં પ્રાસંગિક પ્રવચનમાં ભરૂચનાં સાંસદ મનસુખભાઇ વસાવાએ જણાવ્યુ હતુ કે, રેલીમાં ભાગ લેનાર જવાનોએ રેલીનાં માધ્યમથી સમગ્ર વિશ્વમાં ભારતની એકતા અને અખંડિતતાનો સંદેશો પ્રસરાવ્યો છે. બાળપણથી જ આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી દેશને સમર્પિત રહ્યા છે. તેમનાં નેતૃત્વમાં ભારત વિશ્વની મહાસત્તા બનશે તે નિશ્ચિત છે.દેશનાં જવાનો જે રીતે રાષ્ટ્ર અને જનતાની સેવા કરી રહ્યા છે તેમાંથી જનતાએ પણ પ્રેરણા લેવા વસાવાએ ખાસ અનુરોધ કર્યો હતો.
 આ પ્રસંગે કેન્દ્રીય અનામત પોલીસ દળનાં તાલીમ કેન્દ્રના અધિક મહાનિર્દેશક એસ. એલ. ચતુર્વેદી, કેન્દ્રીય ઓદ્યોગિક સુરક્ષાદળનાં અનીલ બાલી અને ચેતનકુમારે રેલી દરમ્યાનનાં અનુભવો વ્યકત કર્યા હતા.આ પ્રસંગે મંત્રી નરેશભાઇ પટેલ અને ઉપસ્થિત મહાનુભવોનાં હસ્તે રેલીમાં ભાગ લેનાર વિવિધ સુરક્ષા દળનાં  પ્રતિનિધિઓનું સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિકૃતિ એનાયત કરીને સન્માન કરાયુ હતુ.    
  સમારોહમાં ગુજરાત પોલીસ અધિક પોલીસ મહાનિર્દેશક  રાજુ ભાર્ગવ, જિલ્લા કલેકટર ડી.એ.શાહ, રાજપીપલા રાજવી પરિવારના રઘુવીરસિંહજી ગોહિલ અને શ્રીમતી રૂકમણીદેવી ગોહિલ, જિલ્લા વિકાસ અધિકારી પી. ડી. પલસાણા,  જિલ્લા પોલીસ અધિક્ષક હિમકરસિહ,  પૂર્વ મંત્રી શબ્દશરણભાઇ તડવી, પૂર્વ સંસદીય સચિવ હર્ષદભાઈ વસાવા, ભરૂચ દુધધારા ડેરી અને નર્મદા સુગર ફેક્ટરીના ચેરમેન ઘનશ્યામભાઈ પટેલ સહિત પદાધિકારીઓ- અધિકારીઓ વિવિધ સુરક્ષા દળના જવાનો  ઉપસ્થિત રહ્યા હતાં.  
  ઉક્ત કાર્યક્રમબાદ મંત્રી નરેશભાઈ પટેલ અને ઉપસ્થિત મહાનુભાવોએ બાઈક-સાયકલ રેલીના જવાનોને લીલી ઝંડી ફરકાવી સ્ટેચુ ઓફ યુનિટી તરફ જવા પ્રસ્થાન કરાવ્યું હતું

(7:52 pm IST)