ગુજરાત
News of Tuesday, 26th October 2021

જનસંખ્યા નિયંત્રણ કાયદાના મુદ્દે ચિંતક રાકેશ સિંહાનું અમદાવાદમાં યોજાયુ વ્યાખ્યાન

અમદાવાદ તા. ૨૬ : ભારતીય વિચાર મંચ, અમદાવાદ શહેર દ્વારા દિનેશ હોલ ખાતે 'શું ભારતમાં જનસંખ્યા નિયંત્રણ કાયદાની જરૂર છે?' વિષય ઉપર સેમિનારનુ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય વકતા તરીકે ડો. રાકેશ સિન્હા (સાંસદ,રાજયસભા) ઉપસ્થિત રહી ઉત્કૃષ્ટ વકતવ્ય આપ્યું હતું. વકતવ્યમાં તેમણે જણાવેલ કે આ કાનૂન અંગેનું તેમને બિલ જૂન ૨૦૧૯ માં એક પ્રાઇવેટ મેમ્બર તરીકે રજૂ થવાનું હતું. આ અધિનિયમ અંગેની પ્રસ્તાવના રાખતા તેઓએ જણાવેલ કે ૧૯૪૦માં જવાહરલાલ નહેરૂ દ્વારા પણ એક સબ કમિટીનું ગઠન વસ્તી નિયંત્રણના વિષયની ગંભીરતાને ધ્યાને લઈને કરવામાં આવેલ ત્યારબાદ ૧૯૪૪માં મિલ મેમોરિયલ કવાર્ટરલી દ્વારા એક સંશોધન આ જ વિષયના સંદર્ભમાં રજૂ કરવામાં આવેલ. ૧૯૪૬માં ઇન્ટરીમ ગવર્મેન્ટ દ્રારા હેલ્થ સર્વે તેમજ પોપ્યુલેશન કમિટી અંતર્ગત આ વિષયને ગંભીરતાથી ધ્યાને લેવામાં આવેલ. આઝાદી મળ્યા બાદની તમામ પંચવર્ષીય યોજનામાં મળેલ અગ્રીમતાને ધ્યાને લઇ તેઓએ જણાવેલ કે આજ સુધી આ વિષય પર કુલ બે લાખ કરોડ જેટલી મોટી રકમ સરકાર દ્વારા ફાળવવામાં આવેલી છે. તેમના ઉત્કૃષ્ટ વકતવ્ય બાદ સભાગારમાં ઉપસ્થિત પ્રબુદ્ઘજનો સાથે તેમનો વિચાર વિમર્શ થયો.  વસ્તી નિયંત્રણ વિષે પૂછાયેલા તમામ પ્રશ્નોનો સમાધાન કરતા ઉત્તરો તેમણે આપ્યા હતા. આ કાર્યક્રમમાં અમદાવાદ શહેરના વિવિધ ક્ષેત્રોના અગ્રણીઓ, ઉદ્યોગ જગતના અગ્રણીઓ, સામાજિક સંસ્થાના અગ્રણીઓ અને શહેરના પ્રબુદ્ઘજનો બહોળી સંખ્યામાં  ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ કોરોના માર્ગદર્શિકા અનુસાર યોજાયો હતો. આ સેમિનારનું ભારતીય વિચાર મંચના ફેસબુક પેજ અને યુટ્યુબ ચેનલ ઉપર લાઈવ પ્રસારણ કરવામાં આવ્યું હતું. જેમાં સમગ્ર ભારતથી શ્રોતાઓ જોડાયા હતા. વંદેમાતરમના રાષ્ટ્રગાન સાથે આ સેમિનાર પૂર્ણ કરવામાં આવ્યો હતો.

(4:11 pm IST)