સીઆર પાટીલ પોતે જ ભાજપ છે તેવું કહેવાનું બંધ કરવું પડશે. :સુરતના ભાજપના પૂર્વ કોર્પોરેટરની ફેસબુક પોસ્ટથી ખળભળાટ
રાજુ અગ્રવાલે ફેસબુક પોસ્ટમાં લખ્યું છે કે, અત્યાર સુધી કોઈ પણ પ્રદેશ અધ્યક્ષે આવા નિવેદનો કર્યા નથી; તેમને ગુજરાતીઓનું અપમાન બંધ કરવું પડશે.
અમદાવાદ : ભાજપના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ અંગે સુરતના બીજેપીના જ પૂર્વ કોર્પોરેટર રાજુ અગ્રવાલે સીઆર પટેલની ફેસબુક ઉપર આલોચના કરી છે. રાજુ અગ્રવાલની પોસ્ટ પછી બીજેપીની અંદરોદર જ વિવાદનો મધપૂછો છંછેડાઇ ગયો છે.
રાજુ અગ્રવાલે પોતાની ફેસબુક પોસ્ટમાં લખ્યું છે કે, સીઆર પાટીલ પોતે જ ભાજપ છે તેવું કહેવાનું બંધ કરવું પડશે. કેમ કે, તેઓ એવું કરીને સાડા છ કરોડ ગુજરાતઓનું અપમાન કરી રહ્યાં છે અને તેમને ગુજરાતીઓનું અપમાન બંધ કરવું પડશે.
તે ઉપરાંત તેમને લખ્યું છે કે, અત્યાર સુધી કોઈ પણ પ્રદેશ અધ્યક્ષે આવા નિવેદનો કર્યા નથી. રાજુ અગ્રવાલ અને સીઆર પાટીલ વચ્ચે રહેલા વિવાદ એકદમ ઉભરીને સામે આવ્યા છે. આ પહેલા પણ સીઆર પાટીલ સાથે બીજેપીના અનેક દિગ્ગજ નેતાઓ સાથે વિવાદ રહ્યો છે. જોકે, પ્રથમ વખત એવું થયું છે કે, કોઈ બીજેપી નેતાએ જ જાહેરમાં ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલનો વિરોધ કર્યો છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, વિજયભાઈ રૂપાણીએ મુખ્ય મંત્રીપદેથી રાજીનામું આપી દીધું છે. જોકે, અગાઉ પણ વિજય રૂપાણી અને સી. આર. પાટીલ વચ્ચેના સંબંધોમાં ખટાશ હોવાની વાત ઘણી વાર સામે આવી ચૂકી છે.