અમદાવાદ રેલવે સ્ટેશને ટ્રેનના મુસાફરોના ટેસ્ટિંગમાં વધુ 28 પોઝીટીવ કેસ મળ્યા
રાજધાની એક્સપ્રેસમાં સૌથી વધુ 18 કોરોના પોઝીટીવ કેસો મળ્યા: 11 દર્દીઓને કોવીડ કેસ સેન્ટરમાં અને 17 દર્દીઓને હોમ ક્વોરેન્ટાઇન કરાયા
અમદાવાદ: અમદાવાદ આવતી ટ્રેનોના મુસાફરોના સતત વીસમા દિવસે હાથ ધરાયેલી ટેસ્ટિંગની કામગીરીમાં કુલ 28 કોરોના પોઝિટિવ કેસો મળ્યા હતા. તેમાંથી 18 એક માત્ર રાજધાની એકસપ્રેસમાંથી મળ્યા હતા. આમ રાજધાની એક્સપ્રેસમાંથી અન્ય બે ટ્રેનોની સરખામણીમાં વધુ કેસો મળે છે. 1223 મુસાફરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. તેમાંથી કુલ 28 કેસો મળી આવ્યા હતા. આ 28 કેસો પૈકીના 11 દર્દીઓને સાબરમતી રેલવે સ્ટેશન ખાતે ઊભા કરવામાં આવેલા કોવીડ કેર સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા હતા. જયારે 17 દર્દીઓને હોમ કવોરન્ટાઇન કરવામાં આવ્યા છે.
અમદાવાદ શહેરમાં નોવેલ કોરાના વાયરસનું સંક્રમણ ફેલાતું અટકાવવા માટે અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્રારા વિવિધ પગલાંઓ લેવામાં આવ્યા છે. જેના ભાગરૂપે અમદાવાદ શહેરના સાતેય ઝોનમાં એક ખાસ ઝુંબેશ હેઠળ ટેસ્ટિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે.
આ ટેસ્ટિંગ દરમિયાન પરપ્રાંતિય મજુરો તથા કામદારોમાં કોરોના પોઝિટિવ કેસો મોટા પ્રમાણમાં મળી આવ્યા હતા. શહેરના જુદા જુદા વિસ્તારોમાં વસવાટ કરતાં મજૂરો/કામદારોને શોધવામાં ઘણો સમય વ્યતીત થતો હતો. બીજી તરફ કોરોના પોઝિટિવ ધરાવતા મજૂરો તથા કામદારો અન્ય સાથીદારોમાં સંક્રમણ ઊભું કરે તેવી શકયતા દેખાઇ રહી હતી. જેથી અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશને અમદાવાદમાં પ્રવેશે તે પહેલાં જ પરપ્રાંતિય મજૂરો તથા કામદારોના ટેસ્ટ કરવાનું નક્કી કર્યું હતું. જેના ભાગરૂપે જ અમદાવાદ રેલવે સ્ટેશન પર ટેસ્ટિંગની કામગીરી હાથ ધરી હતી.