ગાંધીનગરમાં સે-21માં શાળાના ધાબા પર લગાવેલ સોલાર પેનલ ચોરી તસ્કરો રફુચક્કર થઇ જતા પોલીસ ફરિયાદ દાખલ
ગાંધીનગર: શહેર તેમજ આસપાસના વિસ્તારોમાં ઘરફોડ ચોરીના બનાવો વધી રહયા છે ત્યારે શહેરના સે-ર૭માં આવેલી મહારાણા પ્રતાપ વિદ્યાલયના ધાબા ઉપર લગાડવામાં આવેલી સોલાર પેનલ સિસ્ટમ તસ્કરો ચોરીને પલાયન થઈ ગયા હતા. જે સંદર્ભે કંપનીના કર્મચારીએ સે-ર૧ પોલીસ મથકમાં ૪૭ હજારની મત્તાની ચોરીની ફરિયાદ આપતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
ગાંધીનગર શહેર અને આસપાસના વિસ્તારમાં છેલ્લા થોડા સમયથી ઘરફોડ ચોરીના બનાવો સતત વધી રહયા છે. પોલીસ ચોરીઓના ગુના ઉકેલવા દોડી રહી છે પરંતુ ચોરીઓ અટકવાનું નામ લેતી નથી. ત્યારે ગઈકાલે એલસીબીની ટીમે સે-ર૧ પોલીસની હદમાં ઘરફોડ ચોરી કરનાર બે રીઢા ચોરને ઝડપી પાડયા હતા. પરંતુ સે-ર૭માં આવેલી સરકારી પ્રાથમિક શાળાના ધાબા ઉપર લાગેલી આખેઆખી સોલાર પેનલ સિસ્ટમ ચોરાઈ ગયાની ફરિયાદ ઉઠવા પામી છે.