અમદાવાદમાં કોવિડ-19ની મહામારી વચ્ચે તંત્રની ઘોર બેદરકારી છતી થઇઃ ટેસ્ટ બાદ ટાગોર હોલના કંપાઉન્ડમાં જ બાયો મેડિકલ વેસ્ટ ફેંકી દેવાયો
અમદાવાદઃ કોરોના મહામારીમાં એક તરફ તંત્ર સાવચેતી રાખવાનું કહે છે, બીજી બાજુ એવી બેદરરાખી છે કે કોરોનના ચેપ ચારેબાજુ ફેલાઇ જાય. 25મીએ અમદાવાદ ટાગોર હોલમાં AMCની સામાન્ય સભા પહેલાં બે દિવસ કાઉન્સિલરો અને હાજર રહેનારા સભ્યોના ટેસ્ટ કરાયા હતા. જેનો કચરો હોલના કમ્પાઉન્ડમાં જ ફેંકી દેવાયો હતો. જેનાથી ચેપ ફેલાવવાનું જોખમ ઊભુ થયું હતું.
કોરોનાની મહામારીના પાંચ મહિના બાદ પહેલી વાર ઓફ લાઇન અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનની માસિક સામાન્ય સભાની બેઠક પાલડી ટાગોર હોલ ખાતે શુક્રવારે યોજવામાં આવી હતી. આ બેઠકમાં હાજરી આપનારા કાઉન્સિલરોના કોવિડ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ ટેસ્ટની કામગીરી બાદ પીપીઇ કીટ તેમ જ માસ્ક ટાઉન હોલ કમ્પાઉન્ડમાં ઉગેલા ઘાસની વચ્ચે ફેંકી દેવાયેલી હાલતમાં મળી આવ્યા હોવાનો ઘટસ્ફોટ થયો છે.
કોઇ સ્થાનિક નાગરિકે ફોટા અને વીડિયો ઉતાર્યા
કોઇ સ્થાનિક જાગૃત નાગરિકે કેમેરામાં કેદ કરેલા દ્દશ્યોના વીડિયો સહિતના ફોટા વાયરલ થયા છે. આ વીડિયો રાત્રિના સમયમાં લેવામાં આવ્યો હોવાનું દેખાઇ રહ્યું છે. આ વીડિયો જોતાં જે કોર્પોરેશન દ્રારા શહેરમાંથી કચરો ઉપાડવાની કામગીરી કરવામાં આવે છે. તે જ કોર્પોરેશનના સ્ટાફ દ્વારા કચરો ફેંકી દેવામાં આવ્યો હોવાનું અનુમાન લગાવાઇ રહ્યું છે. એટલે કે વાડ જ ચીભડાં ગળે છે તેવી સ્થિતિ સર્જાઇ છે.
કોર્પોરોશનને કોણ દંડ કરશે?
શહેરીજનોને દંડ ફટકારવામાં ઉત્સાહી કોર્પોરેશનને કોણ દંડ કરશે તે પ્રશ્ન પ્રજામાં ઉઠયો છે. જો કે આ ફોટા અને વીડિયો જોયા બાદ કોર્પોરેશન તરફથી ગઈકાલે રાત્રે કચરો ઉપાડી લેવામાં આવ્યો હોવાનું જણાવ્યું છે. પરંતુ 23 અને 24મીએ ફેંકવામાં આવેલો કચરો બે દિવસ બાદ 25મીની મીટીંગ પૂર્ણ થયા બાદ AMC ના સંબધિત વિભાગે ઉપાડયો હતો.
AMCની માસિક સામાન્ય સભા પહેલાં 23 અને 24મી સપ્ટેમ્બરના રોજ કાઉન્સિલરોના કોવિડ- 19ના ટેસ્ટ Tagore Hallમાં કરવામાં આવ્યા હતા. આ ટેસ્ટ કરવા માટે સ્વાભાવિકપણે ટેસ્ટ કરનારી વ્યક્તિઓએ PPE કીટનો તથા માસ્ક તેમ જ ગ્લોવ્ઝનો ઉપયોગ કર્યો હતો. અને આ હોલના કમ્પાઉન્ડમાં તે વેરવિખેર હાલતમાં મળી આવ્યા હતા.
વેસ્ટ મેનેજમેન્ટ વિભાગે કચરો ઉપાડ્યો નહીં
આ કચરો ઠાલવ્યા બાદ સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ તરફથી કચરો Tagore Hallના કમ્પાઉન્ડમાંથી ઉપાડવામાં નહીં આવ્યો હોવાના કારણે પડી રહ્યો હોવાનું કહેવાય છે. આસપાસના કોઇ ફેંકી ગયું હોય તેવી પણ શક્યતા નહીવત છે. તેમ છતાં કોર્પોરેશને વાસ્તવમાં આ કચરો કોણે ફેંક્યો છે તે અંગે તપાસ કરે તો જ હકીકત પ્રકાશમાં આવી શકે તેમ છે. તેથીય વિશેષ આ ફેંકાયેલો કચરો વહેલીતકે ઉપાડી લઇને કોરોનાનું સંક્રમણ થતું અટકાવવું જરૂરી છે.
ઉલ્લેખનીય છે કે, કોવિડ 19માં કોરોના પોઝિટિવ ધરાવતાં વ્યક્તિઓને હોમ કવોરોન્ટાઇન કરવામાં આવે છે. આવા એકથી વધુ કેસો ધરાવતાં વિસ્તારોને કોર્પોરેશન માઇક્રો કન્ટેઇન્મેન્ટમાં મૂકી રહ્યું છે. કોરોનાના દર્દી દ્વારા ફેંકાયેલો કચરો કોર્પોરેશન ઉપાડતું નહીં હોવાનો મુદ્દો આજથી થોડાં સમય અગાઉની સ્ટેન્ડીંગ કમિટીની બેઠકમાં ઘાટલોડિયાના કાઉન્સીલર જતીન પટેલે ઉઠાવ્યો હતો.
આ પ્રશ્નનું નિરાકરણ થયું છે કે નહીં તે તો વિકટ પ્રશ્ન છે. પરંતુ ખુદ કોર્પોરેશન જ ગમે ત્યાં કચરો ઠાલવતું હોવાની શરમજનક ઘટના પ્રકાશમાં આવી છે.