ગુજરાત
News of Sunday, 26th June 2022

સીએસનો નવો અભ્યાસક્રમ જૂન ૨૦૨૩થી અમલી થશે

ICAIના નેશનલ પ્રેસીડેન્ટ સીએસ દેવેન્દ્ર દેશપાંડેએ કહ્યુંઃવિદ્યાર્થીઓને ઈલેક્ટીવ પેપર પધ્ધતિનો લાભ મળશે

અમદાવાદ, તા.૨૬ :આઈસીએઆઈ (ઈન્સ્ટિટ્યુટ ઓફ કંપની સેક્રેટરી ઓફ ઈન્ડિયા)ના નેશનલ પ્રેસીડેન્ટ સીએસ દેવેન્દ્ર દેશપાંડે આજે આઈસીએઆઈ અમદાવાદ ચેપ્ટર દ્વારા આયોજીત વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપવા આવ્યા હતાં. આઈસીએસઆઈ અમદાવાદ ચેપ્ટરને વર્ષ ૨૦૨૦ દરમ્યાન બેસ્ટ ચેપ્ટર ઓફ ઈન્ડિયાનો એર્વોર્ડ પ્રાપ્ત થયાની ઘોષણા 'કંપની સેક્રેટરી-એ પ્રિફર્ડ પ્રોફેશનલ' થીમ પર લોનાવાલામાં યોજાયેલી રાષ્ટ્રીય પરિષદમાં કરવામાં આવી હતી.

આઈસીએસઆઈના નેશનલ પ્રેસીડેન્ટ સીએસ દેવેન્દ્ર દેશપાંડેએ જણાવ્યું હતું કે ન્યુ એજ્યુકેશન પોલીસી અંતર્ગત કંપની સેક્રેટરી (સીએસ)નો સંપૂર્ણ અભ્યાસક્રમ બદલાઈ રહ્યો છે. સ્કીલ ડેવલપમેન્ટ આધારિત સીલેબસ, આંતરરાષ્ટ્રીય તકો શોધી નવા અભ્યાસક્રમમાં આમુલ ફેરફાર કરવામાં આવશે. ન્યુ એજ્યુકેશન પોલીસી આવ્યાના એક વર્ષ સુધી એનાલીસીસ કર્યા બાદ નવો સીલેબસ લાવી રહ્યા છીએ. જે વિદ્યાર્થીઓને એકેડેમીક કેરીયર બનાવવામાં મદદરૃપ થશે. સીએસનો નવો અભ્યાસક્રમ ૧૬ જુલાઈથી પબ્લિક રીવ્યુ માટે સમગ્ર દેશમાં ઓપન કરવામાં આવશે. ત્યારબાદ ફાઈનલ સીલેબસ તા. ૧ થી ૩ સપ્ટેમ્બર દરમિયાન કોલકાતામાં યોજાનારી નેશનલ કોન્ફરન્સમાં રીલીઝ કરવામાં આવશે. નવા સીલેબસની પ્રથમ પરીક્ષા જૂન ૨૦૨૩થી લેવામાં આવશે.

સીએસ દેવેન્દ્ર દેશપાંડેએ વધુમાં જણાવ્યું હતું કે નવા સીલેબસમાં સીએસનો અભ્યાસક્રમ કરતાં વિદ્યાર્થીઓને આંતરરાષ્ટ્રીયસ્તરની આધુનિક નોલેજ બેઈઝ જાણકારી મળશે અને તેઓને સ્પેશ્યાલીસ્ટ બનવા માટે ઈલેકટિવ પેપર પધ્ધતિનો લાભ મળશે. તદઉપરાંત અમે યુજીસી સમક્ષ રજૂઆત કરી છે કે ૧૦ વર્ષના સીએસની પ્રેકટીસનો અનુભવ ધરાવતા સીએસને એકેડેમિક સાઈડમાં પ્રેક્ટીસીંગ પ્રોફેસરની કેરિયર શરૃ કરવા દેવામાં આવે.

આઈસીએસઆઈના સીએસઆર કાર્યક્રમ અંતર્ગત લેહ લદાખ અને નોર્થ ઈસ્ટમાં વિદ્યાર્થીઓને સીએસ બનવા માટે કોઈપણ પ્રકારની ફી લેવામાં આવતી નથી અને કોવિડ મહામારી દરમિયાન જે પણ વિદ્યાર્થીઓએ તેમના વાલી ગુમાવ્યા છે, તેઓની ફી માફ કરવામાં આવી છે. આઈસીએસઆઈ દ્વારા દરવર્ષે યોજાતા કોન્વોકેશનમાં સીએસ થનારા દરેક વિદ્યાર્થીઓને આપવામાં આવતા મોમેન્ટોની રકમ હવે  'શહીદ કી બેટી' યોજનામાં જમા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અત્યાર સુધી મોમેન્ટોની રકમ  પેટે રૃ. ૩૦ લાખ જમા થઈ ચૂક્યા છે. આ સિવાય સમગ્ર દેશમાં આવેલા કંપની સેક્રેટરીના પોતાના બિલ્ડિંગોને સોલર ઈન્સ્ટીટયુટ હેઠળ આવરી લેવામાં આવ્યા છે. સીએસ થનાર વિદ્યાર્થીઓને હવે આંતરરાષ્ટ્રીય સ્તરે અને દેશમાં આવેલા કોર્પોરેટ ક્ષેત્રે પ્લેસમેન્ટ મળી રહે તે માટે ઈન્સ્ટીટ્યુટ કાર્યરત છે.

(9:54 pm IST)