ગુજરાત
News of Wednesday, 26th June 2019

લાખણી કુડા હત્યાકાંડનો અંતે ભેદ ખુલ્યો : પિતાએ હત્યા કરી

વ્યાજખોરોના ત્રાસથી પિતાનું આખરે કૃત્ય : હત્યાકાંડ સર્જવા માટે મજબૂર કરનારા બે વ્યાજખોરોની પોલીસે અટકાયત કરી : વધુ તપાસનો દોર યથાવત જારી

પાલનપુર, તા.૨૬  : લાખણી તાલુકાના કુડા ગામે સપ્તાહ અગાઉ એક જ પરિવારના ચાર સભ્યોની રાત્રિના સમયે ભરઉંઘમાં નિર્મમ હત્યા કરવામાં આવી હતી. આ હત્યા કોણે અને કયા કારણોસર કરી તે રહસ્ય ઉપરથી મંગળવારે પોલીસે પડદો ઉંચો કર્યો હતો. જેમાં વ્યાજખોરોના ત્રાસથી ઘરના મોભીએ જ પરિવારના સભ્યોની હત્યા કરી પોતે જાતે ઝેરી દવા પી ગટગટાવી આત્મહત્યા કરી હોવાનુંહ સાથે સાથે આ હત્યાકાંડ સર્જવા માટે ઘરના મોભીને મજબુર કરનારા બે વ્યાજખોરોની પણ પોલીસે અટકાયત કરી રિમાન્ડની કાર્યવાહી હાથ ધરી હોવાનું જિલ્લા પોલીસવડા જણાવી રહ્યા છે. લાખણી તાલુકાના કુડા ગામે સપ્તાહ અગાઉ ઘસઘસાટ નિંદ્રામાં સુતેલા અણદી બેન કરશનજી પટેલ (પત્ની ), ઉકાભાઈ કરશનજી પટેલ (પુત્ર ), ભાવનાબેન કરશનજી પટેલ (પુત્રી) અને સુરેશભાઈ કરશનજી પટેલ (પુત્ર)ના ગળાના ભાગે તિક્ષ્ણ હથિયારના ઘા મારી નિર્મમ હત્યા કરવામાં આવી હતી. જ્યારે ઘરના મોભી કરશનજી પટેલ ઘરના આંગણામાં ઝેર પીધેલી હાલતમાં મળી આવ્યા હતા. જેમનું સોમવારે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતુ. દરમિયાન આ હત્યા કોણે અને કયા કારણોસર કરી તેને લઇને રહસ્યના તાણાંવાણા સર્જાવા પામ્યા હતા. જે હત્યાનો ભેદ મંગળવારે પોલીસે ઉકેલ્યો હતો. કરશનભાઇ છ માસ અગાઉ લાખણી તાલુકાના તેમના વતન કેશરસિંહ ગોળીયા ગામે રહેતા હતા. તેઓના પુત્ર ઉકાભાઇએ લાખણીમાં પ્લાસ્ટીક મટેરીયલ્સ વેચવાનો ધંધો શરૂ કર્યો હતો. જેમાં નુકશાન થતાં લાખણીના ઉદેસિંહ મફતસિંહ વાઘેલા પાસેથી રૂપિયા ૪ લાખ વ્યાજે લીધા હતા. જેના રૂપિયા ૧૧ લાખની ઉદેસિંહ અને તેનો મિત્ર પિન્ટુસિંહ જબ્બરસિંહ વાઘેલા ધમકીઓ આપી ઉઘરાણી કરતાં હતા. આથી કરશનભાઇએ મજબુર થઇને તેમની છ વિઘા જમીન રૂપિયા ૪૫ લાખમાં વેચી નાણાં ભરપાઇ કર્યા હતા. જે બાદ ઉકાભાઇએ પુનઃ આ શખ્સો પાસેથી રૂપિયા એક લાખ વ્યાજે લીધા હતા. જેની ઉઘરાણીમાં ઉકાભાઇનું અપહરણ પણ કરાયું હતુ. આમ વ્યાજખોરોના ત્રાસથી કરશનભાઇએ આ હત્યાકાંડને અંજામ આપ્યો હતો. કુડા હત્યાકાંડને લઇને ગુજરાતભરમાં જોરદાર ચર્ચા રહી હતી. આ બનાવથી પોલીસ પણ હચમચી ઉઠી હતી. ઉંડી તપાસનો દોર ચાલી રહ્યો હતો ત્યારે આ હત્યાનો ભેદ હવે ઉકેલાઈ ગયો છે અને જુદી જુદી કડીઓ એકત્રિત કરાઈ રહી છે.

કુટુંબના મોભી દ્વારા જ હત્યાકાંડને અંજામ......

પાલનપુર, તા.૨૬ : લાખણીના કુડા હત્યાકાંડનો ભેદ ઉકેલાઈ ગયો છે. પિતાએ જ પરિવારના સભ્યોની હત્યા કરી હતી. આ અંગે જિલ્લા પોલીસવડા પ્રદિપ સેજુળે જણાવ્યું હતુ કે, હત્યાકાંડની તપાસમાં સાંયોગીક અને દાર્શનીક પુરાવા જોતા પરિવારના ચાર સભ્યોની હત્યા કરશનભાઇએ જ કરી હોવાનું પ્રાથમિક તારણ આવ્યું છે. જેમાં કરશનભાઇના હાથમાં પડેલા કોલસાના ડાઘ, તેમના હાથમાંથી પડેલા લોહીના ટપકાં બનાવની જગ્યાની પાછળ આવેલા રસોડા સુધી જોવા મળ્યા છે. આ ઉપરાંત ગુનામાં વપરાયેલી કુહાડી પણ કરશનભાઇની પોતાની છે. જેના ઉપરથી પ્રાથમિક તારણ એવું આવ્યું છે કે, કરશનભાઇ સોનાજી પટેલ વ્યાજખોરોની ઉઘરાણીના ત્રાસથી આવેશમાં આવી જઇ પોતાના ઘરના તમામ સભ્યોને મારી નાંખી ત્યારબાદ ઝેરી દવા પી પોતે પણ મરી ગયા છે.

(9:32 pm IST)