ગુજરાત
News of Wednesday, 26th June 2019

ઈન્ડિયન લાયન્સનો સિલ્વર જયુબીલી મહોત્સવઃ શનિ- રવિ ગાંધીનગરમાં નેશનલ કોન્ફરન્સ

ચેરમેનપદે આશાબેન પંડ્યાના શપથગ્રહણઃ બે દિવસીય વિવિધ કાર્યક્રમો

રાજકોટ,તા.૨૬: સ્વદેશી રાષ્ટ્રવાદી સંસ્થા ઈન્ડિયન લાયન્સ રજત જયંતિ વર્ષ (૧૯૯૫- ૨૦૧૯) ઉજવી રહી છે. ૨જી જુલાઈ- ૧૯૯૫ના રોજ સ્થપાયેલી ઈન્ડિયન લાયન્સના આ ઐતિહાસિક પ્રસંગ ગાંધીનગરમાં ઈન્ડિયન લાયન્સ સ્વર્ણિમ, ઈન્ડિયન લાયોનેસ સ્વર્ણિમના યજમાન પદે યોજાનાર છે. સાથો સાથે ૨૦મી નેશનલ કોન્ફરન્સ પણ યોજાશે. જેમાં સ્વર્ણિમ લાયન્સ કલબના મેમ્બર આશાબેન પંડ્યા નેશનલ ચેરમેન તરીકેનો હોદ્દો ગ્રહણ કરશે. તેઓ ઈન્ડિયન લાયન્સના ૧૩મા નેશનલ ચેર પરસન તરીકે શપથ લેશે.

આ નેશનલ કોન્ફરન્સમાં ઈન્ડિયન લાયન્સ, સ્વર્ણિમ ગાંધીનગરના જ સભ્ય અને હાલના વાઈસ નેશનલ ચેરમેન શ્રીમતી આશાબેન પંડયાનો નેશનલ ચેરમેન તરીકે શપથગ્રહણ સમારોહ ૨૯મી શનિવારે સાંજે વૈશ્નોદેવી સર્કલ પાસે, નિરમા યુનિવર્સિટીની સામે આવેલા વ્હીસ્લીંગ મીડોઝ રિસોર્ટ ખાતે  યોજાશે.

શ્રીમતી આશાબેન પંડ્યા મુંબઈ યુનિવર્સિટીની ભવન્સ કોલેજમાંથી બી.એ.વિથ ઈકોનોમીકસ થયા છે. મીડીયા કન્સલ્ટન્સી દ્વારા સૌરાષ્ટ્રની અનેક મોટી બ્રાન્ડને તેમણે પ્રચલિત કરી છે. એડર્વટાઈઝ એજન્સી ઉપરાંત આશાબેને ઈવેન્ટ મેનેજમેન્ટ દ્વારા વ્યવસાયિક કુશળતા દેખાડી છે. તેઓ શ્રી ઔદિચ્ય ગઢિયા બ્રહ્મસમાજ ગાંધીનગર એકમના કારોબારી સભ્ય તરીકે કાર્યરત છે.વડોદરાના શ્રી કૌશિકભાઈ બૂમિયાએ ૨જી જુલાઈ ૧૯૯૫એ ઈન્ડિયન લાયન્સ કલબ નામથી સંપૂર્ણ સ્વદેશી કલબની વડોદરા ખાતે સ્થાપના કરેલ. દેશના યુવાધનને સમાજને વિદેશી સંસ્કૃતિના આક્રમણથી બચાવવું. સમાજને દારૂ, તમાકુ, ગુટખા, ધ્રુમપાન જેવા વ્યસનો તથા જુગાર, ભ્રષ્ટાચાર જેવી બદીઓથી દુર રહેવા પ્રેરીત કરવો. સહિત પ્રવૃત્તિઓ કરતી ઈન્ડિયન લાયન્સ - કલબ ૨૪ વર્ષ પૂર્ણ કરીને ૨૫માં વર્ષમાં પ્રવેશી રહી છે. આ સંસ્થાના વર્તમાન (૧૧મા)  નેશનલ ચેરમેન શ્રી હિતેશભાઈ પંડ્યા જેઓ ગુજરાતના મુખ્યમંત્રોઓનાં અધિક જનસંપર્ક અધિકારી તરીકેની જવાબદારી છેલ્લા ૧૯ વર્ષથી નિભાવી રહ્યા છે.

૩૦મી રવિવારે સવારે ૮:૩૦ કલાકે ઈન્ડિયન લાયન્સના સિલ્વર જયુબિલી સેલીબ્રેશન યોજાશે. ગાંધીનગરના વિવિધ  માર્ગો પર નગરયાત્રા પંચદેવ મંદિરથી પ્રારંભ થશે.

(3:37 pm IST)