નરેન્દ્રભાઈ અને અમિતભાઈ ૨૮ મેના રોજ ગુજરાતની મુલાકાતે આવશે: અનેક જાહેર કાર્યક્રમોમાં ભાગ લેશે: દ્વારકાધીશના દર્શને આવે તેવી પણ શક્યતા
અમદાવાદ: વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિતભાઈ શાહ ૨૮ મેના રોજ શનિવારે ગુજરાતની મુલાકાત લેશે અને રાજ્યના કેટલાક ભાગોમાં જાહેર કાર્યક્રમોમાં ભાગ લેશે. રાજ્ય સરકારે આ માહિતી આપી હતી. ગુજરાતના મંત્રી અને રાજ્ય સરકારના પ્રવક્તા જીતુભાઈ વાઘાણીએ બુધવારે ગાંધીનગરમાં આ મુલાકાત અંગે પત્રકારોને માહિતી આપી હતી. ગુજરાતમાં આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે.
સત્તાવાર કાર્યક્રમ અનુસાર, મોદી ૨૮ મેના રોજ સવારે ૧૦ વાગ્યે રાજકોટ જિલ્લાના જસદણ તાલુકામાં આટકોટ ગામમાં પટેલ સેવા સમાજ દ્વારા બનાવવામાં આવેલી હોસ્પિટલનું ઉદ્ઘાટન કરશે. હોસ્પિટલના મેનેજિંગ ટ્રસ્ટી ડો.ભરતભાઈ બોઘરાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, રાજકોટ-ભાવનગર હાઇવે પર આવેલી ૨૦૦ પથારીની કેડી પરવાડિયા મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલનું નિર્માણ રૂ. ૪૦ કરોડના ખર્ચે કરવામાં આવ્યું છે.
સાંજે, મોદી ગાંધીનગરમાં 'સહકાર સંમેલન'માં હાજરી આપશે અને વિવિધ સહકારી સંસ્થાઓના લગભગ ૧૦,૦૦૦ ચૂંટાયેલા પ્રતિનિધિઓને સંબોધિત કરશે. વાઘાણીએ જણાવ્યું હતું કે અમિતભાઈ ૨૮ મેના રોજ સવારે દ્વારકામાં દ્વારકાધીશ મંદિરની મુલાકાત લેશે અને પછી નજીકની કોસ્ટલ પોલીસ એકેડમીમાં તાલીમાર્થીઓ સાથે વાર્તાલાપ કરશે.
બાદમાં કેન્દ્રીય મંત્રી ગાંધીનગરમાં સહકારી સંમેલનમાં હાજરી આપશે. સહકાર મંત્રી શ્રી શાહ રવિવારે પંચામૃત ડેરી દ્વારા આયોજિત કાર્યક્રમમાં હાજરી આપશે અને પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે સભાને સંબોધશે. માહિતી અનુસાર, શાહ બાદમાં ખેડા જિલ્લાના નડિયાદ શહેરની મુલાકાત લેશે અને ગુજરાત રાજ્ય પોલીસ હાઉસિંગ કોર્પોરેશન દ્વારા રાજ્યમાં પોલીસ વિભાગ માટે બાંધવામાં આવેલી ૫૭ રહેણાંક અને બિન-રહેણાંક ઇમારતોનું ઉદ્ઘાટન કરશે.
બિનસત્તાવાર અહેવાલો શ્રી અમિતભાઇ શાહ સંભવતઃ તેજ દિવસે જામનગર આવી દ્વારકાધીશના દર્શને પણ જવાના છે. જોકે આ અંગે કોઇ સત્તાવાર જાહેરાત થઇ નથી.
સાંજે, શાહ અમદાવાદના નારણપુરા વિસ્તારમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના ઉદ્ઘાટનમાં હાજરી આપશે અને સાંજે મોટેરાના નરેન્દ્રભાઈ મોદી સ્ટેડિયમમાં આઈપીએલની ફાઇનલ નિહાળશે, એમ શ્રી વાઘાણીએ જણાવ્યું હતું. શ્રી વાઘાણીએ એવી પણ માહિતી આપી હતી કે ગાંધીનગરમાં ૧ અને ૨ જૂનના રોજ યોજાનારી બે દિવસીય રાષ્ટ્રીય શાળા શિક્ષણ પરિષદમાં કેન્દ્રીય શિક્ષણ પ્રધાન શ્રી ધર્મેન્દ્ર પ્રધાન અને તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના શિક્ષણ પ્રધાનો અને શિક્ષણ સચિવો ભાગ લેશે.