ગુજરાત
News of Sunday, 26th May 2019

ભાજ્પના ડો.જય નારાયણ વ્યાસને મોદી પ્રધાનમંડળમાં સ્‍થાન મેળવવાના સંજોગો ઉભા થવાના એંધાણ

નવી દિલ્‍હી : લોકસભા ચૂંટણીમાં ગુજરાતમાંથી તમામ બેઠકો જીતીને ભાજપે ફરી ડંકો વગાડ્યો છે. ગુજરાતમાંથી રાજ્યસભાના સાંસદ રહેલાં અમિત શાહ અને સ્મૃતિ ઈરાની પણ આ ચૂંટણીમાં લોકસભાના સંસદ સભ્ય તરીકે ચૂંટાયા છે, જેથી તેઓ રાજ્યસભા માંથી રાજીનામું આપશે અને તેનાથી ખાલી પડનાર રાજ્યસભાની બેઠકો પૈકી એકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાજપના પૂર્વ કેબિનેટ મંત્રી અને પ્રખર અર્થશાસ્ત્રી એવા ડૉ.જયનારાયણ વ્યાસને રાજ્ય સભાના સાંસદ તરીકે મોકલી શકે છે.

જ્યારે લોકસભાની ચૂંટણી અંતિમ તબક્કામાં હતી, ત્યારે પાટણ બેઠક પર જાહેર સભાને સંબોધતી વખતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંચ પરથી તેમની પાછળની હરોળમાં બેસેલ જયનારાયણ વ્યાસના ભરપેટ વખાણ કર્યા હતા. જોકે વ્યાસે આ બાબતને વડાપ્રધાનની મોટાઈ બતાવવી હતી. મોદીએ પોતાના સંસ્મરણોને વાગોળતા કહ્યું હતું કે,' હું જ્યારે એક કાર્યકર અને પ્રચારક હતો ત્યારે જયનારાયણ વ્યાસ બહુ મોટા સાહેબ હતા. તેમના ઘર આગળ લાલ લાઇટવાળી ગાડી ઊભી રહેતી હતી. મને સરકારના વહીવટની બરાબર ખબર પણ ન હતી ત્યારે મેં મુખ્યમંત્રી તરીકે શપથ લીધા અને જયનારાયણભાઇ પાસેથી મને વહીવટના તેમ જ અર્થવ્યવસ્થાના પાઠ શીખવા મળેલા.' આમ PM મોદી જાહેર મંચ પર જયનારાયણ વ્યાસ ના વખાણ કર્યા ત્યારથી જ તર્ક-વિતર્ક શરૂ થયા હતા કે આગામી સમયમાં જય નારાયણભાઈને કેન્દ્રમાં સ્થાન મળી શકે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે વડાપ્રધાને કેન્દ્ર સરકાર દ્વારા એક અલગ જળ મંત્રાલય બનાવવાની જાહેરાત કરવા સાથે ગુજરાતમાં એક સમયે નર્મદા યોજના વિભાગનો કાર્યભાર સંભાળતા જયનારાયણ વ્યાસે આ યોજનાને તેમના અભ્યાસ સાથે સારી રીતે સફળ બનાવી હોવાનું પણ પ્રવચન દરમિયાન PM મોદી એ ઉલ્લેખ કર્યો હતો. જેને લઇને એવું માનવામાં આવી રહ્યું છે કે જય નારાયણ વ્યાસ નરેન્દ્ર મોદીની ગુડબુકમાં હોઈ રાજ્યસભામાં મોકલવા તેમની પસંદગી થઈ શકે છે. એટલુ જ નહીં કદાચ મોદી કેબિનેટમાં પણ જયનારાયણ વ્યાસને સ્થાન પણ મળી શકે છે. આગામી રાજકીય સમીકરણો કેવા હશે એ તો આવનાર સમય જ બતાવશે.

(1:57 pm IST)