સહારા ઇન્ડિયામાં મુકેલા રૂપિયા ૯.૯૪ લાખની રકમ પાકતી મુદ્દતે પરત ન આપતા વ્યાજ સહિત રકમ ચૂકવવા વિદ્યાનગર ગ્રાહક ફોરમનો ચૂકાદો
આણંદઃ સલીમમીયાં મનુમીયાં મલેકે રૂ. ૯.૯૪ લાખની થાપણો સહારા ઇન્ડિયામાં મૂકી હતી. જે તમામ થાપણો ગત વષે પાકી ગયેલ હોવા છતાં કંપની દ્વારા તેની ચૂકવણી કરવામાં આવી ન હતી. આ બાબતે સલીમમીયાંએ રુબરુ ફરિયાદ કરતા તેઓને ઉદ્વત જવાબ આપવામાં આવતા હોવાનું તેઓએ ગ્રાહક સુરક્ષા મંડળમાં કરેલ ફરિયાદમાં જણાવ્યુ ંહતું. જેથી આ અંગે આણંદ જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ ફોરમમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.
જેમાં સહારા ઇન્ડિયાએ ગ્રાહકને આપવાની થતી સેવામાં ગંભીર ક્ષતિ દર્શાવ્યા સહિતની બાબતો ધ્યાને લીધી હતી. ફોરમે મનુમીયાંએ રોકાણ કરેલ રૂ. ૯.૯૪ લાખ અને તેની પર વાર્ષિક ૯ ટકા લેખે વ્યાજ ચૂકવવા હુકમ કર્યો હતો. વધુમાં ફરિયાદીને થયેલ માનસિક ત્રાસ બદલ રૂ. ૧૦ હજાર અને ફરિયાદ ખર્ચના રૂ. ૩ હજારનું વળતર ચૂકવવા પણ સહારા ઇન્ડિયાને આદેશ કર્યાનું કન્ઝયુમર પ્રોટેકશન સેન્ટર, વિદ્યાનગરની યાદી દ્વારા જણાવાયું હતું.