ડાકોરમાં નજીવી બાબતે કર્મચારી પર હુમલો કરનાર મહંત વિરુદ્ધ ગુનો દાખલ
ડાકોર: ખાતે આવેલ વીજકંપનીના કર્મચારી સત્યનારાયણ મંદિર સામે આવેલા મહંતના મકાનમાં બિલ બનાવી રહ્યાં હતાં. તે વખતે અન્ય એક મહંતે પોતાના મકાનનું વીજબિલ બનાવવા દબાણ કરી માર માર્યો હોવાની ફરિયાદ ડાકોર પોલીસમાં નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ નડિયાદ ખાતે રહેતા અને ડાકોર ખાતે જીઈબીમાં ફરજ બજાવતા જૈનમભાઈ વિનોદભાઈ શાહ ગુરુવારે સવારે સત્યનારાયણ મંદિરની સામે આવેલ મહંતના મકાનનું બિલ બનાવી અન્ય મકાનોના વીજબિલ બનાવી રહ્યાં હતાં. તે સમયે મંદિરના ઉમેશભાઈ મહંત આવ્યા હતાં અને જૈનમભાઈને મારૂ બીજુ મકાન છે તેનું બિલ બનાવી આપો તેમ કહેતા જૈનમભાઈએ નિયમ મુજબ ક્રમવાર બિલ બનાવવામાં આવશે. તેમ કહેતા ઉમેશભાઈ ઉશ્કેરાઈ ગયા હતા. અને અપશબ્દો બોલવા લાગતા જૈનમભાઈએ અપશબ્દો બોલવાની ના પાડતાં ઉમેશ મહંતે ઉશ્કેરાઈ જઈને જૈનમભાઈની ફેંટ પકડી, શર્ટ ફાડી નાંખી, હાથમાંથી મીટર રેડિંગ બિલ બુક પણ ખેંચી લીધી હતી. ઉમેશભાઈએ જૈનમભાઈ ઉપર હુમલો કરતાં લોકો દોડી આવ્યાં હતાં. અને જૈનમભાઈને વધુ મારથી છોડાવી સારવાર અર્થે ખસેડ્યાં હતાં.