ગુજરાત
News of Saturday, 26th May 2018

ભાજપમાં વરવી જુથબંધી ? બાપુ જુથ મેદાનમાં ? નીતિન પટેલનો મામલો ગરમ

શંકરસિંહના ટેકેદાર આગેવાનોની ખાનગી બેઠક મળી

ગાંધીનગર તા. ૨૬ : શંકરસિંહ બાપુ જૂથના સભ્યોની આજે ગાંધીનગરમાં ગઇકાલે સર્કિટ હાઉસમાં બંધબારણે ગુપ્ત બેઠક યોજાઈ હતી. જેમાં અગામી સમયમાં ૨૦૧૯ની ચૂંટણીમાં પોતાના રાજકીય અસ્તિત્વના ભવિષ્યને લઈ રણનીતિ ઘડવામાં આવી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ગત વિધાનસભા ચૂંટણીમાં શંકરસિંહ જૂથના નેતાઓ કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાઈ ગયા હતા, પરંતુ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા બાદ પણ કોઈ મીઠુ ફળ ન મળતા આ નેતાઓ ભાજપથી અંદરખાને નારાજ ચાલી રહ્યા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. આ ગુપ્ત બેઠકમાં સી કે રાઓલજી, રામસિંહ પરમાર, મહેન્દ્રસિંહ વાઘેલા, અમિત ચૌધરી અને રાધવજી પટેલ હાજર રહ્યા હતા.

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, નીતિનભાઈ પટેલને પ્રધાનમંડળમાંથી પડતા મુકી દેવામાં આવવાનો નિર્ણય દિલ્હી હાઈકમાન્ડ દ્વારા કરી લેવામાં આવ્યો હોવાની વાતો ફેલાઇ હતી. આ નિર્ણયની જાણકારી અગાઉથી થઈ જતા નીતિનભાઈ પટેલ શંકરસિંહ બાપુ જૂથના નેતાઓ સાથે પણ સંપર્કમાં હતા, અને આ નેતાઓ નીતિનભાઈ પટેલને સપોર્ટ આપવા પણ તૈયાર હતા. પરંતુ નીતિનભાઈ પટેલના ભરોસે પોતાના અસ્તિત્વની લડાઈ લડવાનું વિચારી રહેલ નેતાઓ માટે અણધારી સ્થિતિ ઉભી થઈ છે. કારણ કે નીતિનભાઈ પટેલે તો પોતાનું જ અસ્તિત્વ ટકાવી રાખવાની ગોઠવણ કરી હતી. આજ કારણોસર હવે બાપુ જૂથના નેતાઓએ બંધ બારણે આગળની રણનીતિ ઘડવા માટે મિટિંગ યોજી હતી તેમ ચર્ચા છે.

ભાજપ તરફથી પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણી દ્વારા કહેવામાં આવ્યું કે, ભાજપ કયારે પણ નીતિનભાઈને કાઢી નહી મુકે, આ બાજુ નીતિનભાઈ પટેલે પણ સ્પષ્ટતા કરી કે હું ભાજપ છોડવાનો નથી.

નીતિનભાઈ પટેલે ભાજપ નહીં છોડવાની જાહેરાત કરતા ભાજપને હાશકારો જરૂર થયો છે, પરંતુ અગામી સમયમાં બાપુ જૂથના નેતાઓની નારાજગીને દુર કરવાનો રસ્તો પણ અપનાવવો પડશે, નહીં તો બાપુ જૂથના નેતાઓનું તોફાન પણ ભાજપની આંખમાં ધૂળ ઉઠાવી શકે છે.

(12:40 pm IST)