ગુજરાત
News of Saturday, 26th May 2018

પત્નીના ચારિત્ર્ય ઉપર શંકા જતા પોતાના ૧૨ વર્ષના દીકરાનો ડીએનએ ટેસ્ટ કરાવ્યોઃ બાળકનો બાપ પોતે નહીં હોવાનું રિપોર્ટમાં ખુલતા પત્ની વિરૂદ્ધ પોલીસ ફરિયાદ

અમદાવાદઃ અમદાવાદમાં પત્નીના ચારિત્ર્ય પર શંકા જતા પતિએ પોતાના ૧૨ વર્ષના પુત્રનો ડીએનએ ટેસ્ટ કરાવતા આ પુત્ર પોતાનો ન હોવાનું ખુલતા પતિએ પોતાની પત્ની સામે પોલીસ ફરિયાદ કરી છે.

ઘાટલોડિયામાં બનેલી એક ચોંકાવનારી ઘટનામાં પત્નીના ચારિત્ર્ય પર શંકા જતા એક વ્યક્તિએ પોતાના 12 વર્ષના દીકરાનો DNA ટેસ્ટ કરાવ્યો. આ ટેસ્ટમાં બાળકનો બાપ પોતે નહીં હોવાનું બહાર આવતા આ વ્યક્તિએ પત્ની વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, પત્નીના ફોનમાં મેસેજ વાંચ્યા બાદ પતિને તેના પર શંકા પડી હતી.

પત્નીના ફોનમાં મેસેજ જોયા બાદ પતિએ તેની સાથે આ અંગે વાત કરતા બંને વચ્ચે ઝઘડા થવાના શરુ થઈ ગયા હતા. આખરે પતિએ મામલાના મૂળ સુધી પહોંચવાનું નક્કી કર્યું હતું, અને પત્નીને બીજા કોઈ પુરુષ સાથે અફેર છે તે સાબિત કરવા માટે તેણે પોતાના 12 વર્ષના દીકરાનો એક ખાનગી લેબોરેટરીમાં ડીએનએ ટેસ્ટ કરાવ્યો હતો.

ડીએનએ રિપોર્ટ આવ્યા બાદ જાણવા મળ્યું હતું કે, તેના અને તેના દીકરાના ડીએનએ મેચ નથી થતાં, મતલબ કે દીકરાનો બાપ પોતે નહીં, પણ બીજો કોઈ છે. પત્નીની બેવફાઈનો પુરાવો હાથ લાગતા જ પતિએ તેના આધારે પોલીસનો સંપર્ક કર્યો હતો. પોલીસે તેને બાળક અને પત્નીના ભવિષ્યનો વિચાર કરી ફરિયાદ ન કરવા તેને સમજાવ્યો હતો, પરંતુ પતિ એકનો બે ન થયો હતો.

ઘાટલોડિયા પોલીસે આ મામલે પતિ અને પત્નીને નિવેદન નોંધાવવા માટે બોલાવ્યા છે, અને ત્યાર બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે. ફોરેન્સિક એક્સપર્ટ્સનું માનીએ તો, બાળકનો પિતા કોણ છે તે જાણવા માટે જેટલા ટેસ્ટ કરાવાય છે, તેમાં 98 ટકા ટેસ્ટનું રિઝલ્ટ નેગેટિવ જ આવે છે. જોકે, મોટાભાગના કેસ કોર્ટના કહેવાથી થયા હોય છે, કારણકે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં ખાનગી રિપોર્ટ્સ નથી થતા.

સૂત્રોનું માનીએ તો, બાળકની ઉંમર 10થી 12 વર્ષ થાય તે પછી જ તે ખરેખર પોતાનું સંતાન છે કે કેમ તેવી શંકા જતી હોય છે, કારણકે આ ઉંમરથી જ બાળકનો ચહેરો તેની મમ્મી કે પપ્પા જેવો દેખાવાનો શરુ થતો હોય છે. એક્સપર્ટ્સનું કહેવું છે કે, જો પતિ-પત્ની વચ્ચે સમાધાન થવાની એક ટકો પણ શક્યતા હોય તો ડીએનએ ટેસ્ટથી દૂર જ રહેવું જોઈએ.

98 ટકા ડીએનએ ટેસ્ટના રિઝલ્ટ નેગેટિવ આવે છે તેનો સીધો અર્થ એ છે કે, જેને પુરુષ પોતાનું સંતાન ગણે છે તે તેનું ન હોય તે સાબિત થઈ જાય તો ઘર ભાંગતા અટકાવી નથી શકાતું. આવા સંજોગોમાં બાળક પર ખૂબ જ નકારાત્મક અસર પડે છે, કારણકે પોતે જેને 10-12 વર્ષથી પિતા માને છે તે પોતાના પિતા નથી તેવી જાણ થતાં બાળક ભાંગી પડે છે.

(5:21 pm IST)