રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ મુખ્યમંત્રી રાહત નિધિમાં રૂ. ૨૫ લાખનું અનુદાન કોરોના સામેની લડત માટે આપ્યું
રાજ્યપાલે પ્રબુદ્ધ નાગરિકો તેમજ ધાર્મિક સંસ્થાઓને પણ ઉદાર હાથે અનુદાન આપવા અપીલ કરી
ગાંધીનગર : ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કોરોના સંક્રમણ સામેની રાજ્યની લડાઈમાં સહભાગી બની રાજભવન ખાતેથી " કોરોના સેવા યજ્ઞ" જન અભિયાનનો શુભારંભ કર્યો છે. કોરોના સામેના જંગમાં રાજ્ય સરકારને સહયોગ આપવા ગુજરાતના લોકોને પ્રેરણા પુરી પાડવાના ઉદ્દેશ્ય સાથે રાજ્યપાલ એ મુખ્યમંત્રી ના રાહત નિધિમાં રૂ. 25 લાખનો આર્થિક સહયોગ આપવાની ઘોષણા કરી છે.
રાજ્યપાલ એ આ તકે જણાવ્યું હતું કે, કોરોના સંક્રમણ સામેના ગુજરાત રાજ્યના જંગમાં રાજ્ય સરકારની સાથે પ્રજા પણ પૂર્ણત: સહયોગ આપી રહી છે, ત્યારે "સૌનો સાથ, સૌનો વિકાસ" કર્મમંત્ર સાથે જનશક્તિના પ્રચંડ સામર્થ્યથી ગુજરાત આ પડકારનો સામનો કરી વિજય હાંસલ કરશે. રાજ્યપાલ એ કોરોના સંકમણ સામેની રાજ્ય સરકારની લડાઈમાં નાગરિકોને સહભાગી થવા અને મુખ્યમંત્રી ના રાહત નિધિમાં ઉદાર હાથે સહયોગ આપવા રાજ્યના નાગરિકોને અપીલ કરી હતી. રાજ્યપાલશ્રીએ સાધુ-સંતો અને ધર્મસ્થાનોના વડાઓ, શિક્ષકો ઉપરાંત રાજ્યના પ્રબુદ્ધ નાગરિકો સાથે અલગ-અલગ સંવાદ કરીને મુખ્યમંત્રીશ્રીના રાહત નિધિમાં યત્કિંચિત્ સહયોગ આપવા અપીલ કરીને સૌને નાગરિક ધર્મ બજાવવા અનુરોધ કર્યો છે.