ગાંધીનગર જિલ્લામાં એક્સપાયરી ડેટની દવાઓ આરોગ્ય વિભાગ દ્વારા જાહેરમાં સળગાવી દેવામાં આવી
ગાંધીનગર:ખાનગી હોસ્પિટલો દવા કે બાયોમેડિકલ વેસ્ટનો યોગ્ય નિકાલ ન કરે તો આરોગ્ય વિભાગ દ્વારા જે તે ખાનગી દવાખાના વિરૂદ્ધ કાર્યવાહી કરવાની હોય છે પરંતુ ગાંધીનગર જિલ્લા આરોગ્ય તંત્ર હસ્તકના પેથાપુરના પેટા આરોગ્ય કેન્દ્રમાં એક્સપાયરી ડેટની તેમજ ઉધઇ લાગી ગયેલી દવાઓ સળગાવવાની ગેરકાયદે પ્રવૃત્તિ કરવામાં આવી હતી.દવાઓનો યોગ્ય નિકાલ નહીં કરવાને કારણે આ કેન્દ્રના ડોક્ટરને નોટિસ આપવામાં આવી છે તેમજ આ બાબતે તપાસ પણ કરાશે.
એકસપાયરી ડેટની દવાઓ તેમજ બાયોમેડિકલ વેસ્ટનો યોગ્ય નિકાલ ન કરવામાં આવે તો તેના કારણે પ્રદુષણ થવાની સાથે સાથે જનઆરોગ્ય પર પણ તેની વિપરીત અસર પડતી હોય છે. જેના કારણે આ દવા અને બાયોમેડિકલ વેસ્ટનો યોગ્ય નિકાલ થાય તે માટે સરકારે જરૂરી ગાઇડલાઇન આપી છે. તે પ્રમાણે સરકારી અને ખાનગી હોસ્પિટલોએ વર્તવાનું હોય છે પરંતુ ગાંધીનગર નજીક આવેલા પેથાપુર પેટા આરોગ્ય કેન્દ્રની દશા જ રોગચાળો ફેલાવે તેવી છે.