ગુજરાત
News of Friday, 26th April 2019

બનાસકાંઠાની ૩રપ ગરીબ બાળકીઓનો શિક્ષણ ખર્ચ ઉઠાવનાર અશોક યાદવનો જન્મદિવસ આજની તારીખે પણ આખુ ગામ ઉજવે છે

કસાઇઓ અને સોશ્યલ મીડીયામાં હથીયાર સાથે ફોટા મુકનાર લોકોને પાસામાં ધકેલનાર આ કડક આઇપીએસ અધિકારી સામાન્ય લોકોના હમદર્દ પણ છે : આણંદમાં એસપીના કાર્યકાળ દરમિયાન એક ગામને દતક લઇ ગામમાં સ્વચ્છતા અભિયાન, ઘેર-ઘેર :શૌચાલય, પુસ્તકાલયની સુવિધા આણંદ કલેકટર દિલીપ રાણાના સહયોગથી કરેલ જેને આજે પણ લોકો યાદ કરે છેઃ ભાવનગરના રેન્જ વડા વિષે ભાગ્યે જ જાણી હોય તેવા પ્રેરણાદાયી કિસ્સા પર પ્રકાશ

રાજકોટ, તા., ૨૬: પોલીસનું નામ સાંભળતા જ કરડાકીભર્યો રોફદાર ચહેરો નજર સમક્ષ તરવરવા લાગે, લોકોન ેજેની પાસે જતા ડર લાગે તેવું શબ્દચિત્ર સામાન્ય રીતે પોલીસ અધિકારીઓનું હોય છે. જો કે ગુજરાતમાં કેટલાક અલગ પ્રકારના સંનિષ્ઠ આઇપીએસ અધિકારીઓ છે અને લોકમાનસમાં રહેલી છબી કરતા જુદુ જ વ્યકિતત્વ ધરાવે છે. આવા અધિકારીઓ પૈકી એક આઇપીએસ અધિકારી મૂળ રાજસ્થાનના અને જેશહેરમાં જાય તે શહેરને પોતાનુંવતન બનાવી લેતા એક અધિકારી એટલે અશોકકુમાર યાદવ(રેન્જ વડા ભાવનગર)

ગુન્હેગારો અને અસામાજીક તત્વો કે જે સામાન્ય લોકોને ખોટી રીતે પરેશાન કરતા હોય છે તેવા લોકોને વીણી-વીણીને કાયદાનું ભાન કરાવનાર અને બનાસકાંઠામાં એક ડઝનથી વધુ કસાઇઓને પાસામાં ધકેલવા સાથે તાજેતરની લોકસભાની ચૂંટણીમાં ભાવનગર રેન્જ હેઠળના ભાવનગર, અમરેલી અને બોટાદ જીલ્લામાં હથીયારો સાથે પોતાના ફોટા ફેસબુક કે વોટસએપમાં મુકનાર લોકોને આ અધિકારીએ જેલ ભેગા કર્યા હોવાથી એક કડક અને શિસ્તપ્રિય અધિકારી તરીકે સામાન્ય લોકો અને ગુન્હેગારો તેમને ઓળખે છે.

ખાખી યુનિફોર્મ  તથા રોફદાર વ્યકિતત્વની પાછળ એક નરમદિલ ઇન્સાન પણ આ અધિકારીમાં ધબકી રહયો છે. તે વાતની બહુ ઓછા લોકોને જાણ હશે.

ર૦૦૩ બેચના આ આઇપીએસ અધિકારી અશોકકુમાર યાદવે બનાસકાંઠાના કાર્યકાળ દરમિયાન માથાભારે તત્વોને જેલના સળીયા  ગણતા કર્યા તે જ રીતે બનાસકાંઠાના અંતરીયાળ ગામ કે જયાં ગરીબ આદિવાસી બાળકીઓને અભ્યાસ કરવો તો પરંતુ ત્યાં સ્કુલ ન હતી, પાસેના ગામમાં જવા જોઇએ તેવી વાહન સુવિધા ન હતી. આ તમામ વ્યવસ્થા તેઓએ ગોઠવી અને ૩રપ જેટલી બાળકીઓનો શિક્ષણ ખર્ચ પણ તેઓએ જ ભોગવ્યો હતો. આજની તારીખે પણ તેઓનો જન્મદિવસ બનાસકાંઠાના એ ગામમાં જ ઉજવાય છે અને આ જન્મદિવસ આખુ ગામ સાથે મળીને ઉજવે છે. અશોકકુમાર યાદવ પણ પોતાના પત્ની સાથે ત્યાં  હાજર રહે છે.

ર૦૧૪ અને ર૦૧૬ના ગાળામાં તેઓ આણંદના એસપી હતા તે સમયે એક ગામને દતક લીધું હતું અને આ ગામમાં તેઓએ સ્વચ્છતા અભિયાન ચલાવવા સાથે ઘરે-ઘરે લેટ્રીન, પુસ્તકાલય અને આરોગ્ય સેવાઓ શરૂ કરાવેલ.તેઓના આ કાર્યમાં હાલના આણંદના કલેકટર દિલીપ રાણા કે જેઓ જે તે સમયે આણંદમાં હતા તેમનો પણ ભરપુર સહયોગ મળ્યો હતો. આમ આવા અધિકારીઓ પણ પોલીસ તંત્રમાં ફરજ બજાવે છે.

(3:27 pm IST)