ગુજરાત
News of Friday, 26th April 2019

પાટણમાં વિજય જયંતસેન સુરીશ્વરજી મહારાજની પુણ્યતિથી નિમિતે ૧૯ દિક્ષાર્થીઓની શોભાયાત્રા

 પાટણ તા.૨૬: પાટણ શહેરમાં આવેલા ત્રિસ્તુતિક ઉપાશ્રય ખાતે શ્રીમદ્ વિજય જયંન્તસેન સુરીશ્વરજી મહારાજની બીજી પુણ્યવિથિ નિમિતે ૧૯ દીક્ષાર્થીઓની ભવ્ય શોભાયાત્રા શહેરના આશિષ સોસાયટી ખાતેથી શ્રીમદ વિજય જયંન્તસેન સુરીશ્વરજી મહારાજના શુભ આશીર્વાદ સાથે વિવિધ મહારાજ સાહેબની રાહબરી હેઠળ ભકિતમય માહોલ વચ્ચે પ્રસ્થાન પામી શહેરના મુખ્ય માર્ગો પર ફરી હતી. આ પ્રસંગે જૈન ધર્મના શાસ્ત્રો મંત્રોચ્ચાર સાથે ૧૯ દીક્ષાર્થીઓનું પાટણ નગરપાલિકા દ્વારા શહેરના બગવાડા દરવાજા ખાતે ભવ્ય સ્વાગત સન્માન અને સામૈયુ કરવામાં આવ્યું હતું. ૧૯ દીક્ષાર્થીઓને પાટણ નગરપાલિકાના પ્રમુખ મહેન્દ્રભાઇ પટેલ મનોજભાઇ પટેલ, ઉપપ્રમુખ વસંતભાઇ પટેલ મધુભાઇ પટેલ, ધેમરભાઇ પ્રજાપતિ, કનુભાઇ વકીલ, દેવજીભાઇ પરમાર સહિતના પ્રબુદ્ધ નગરજનોએ પૂજા-અર્ચના કરી પરમ પૂજ્ય મહારાજ સાહેબના શુભ આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી હતી. સંગીતના સુમધુર સૂર વચ્ચે નીકળેલી ૧૯ દીક્ષાર્થીઓની ભવ્ય શોભાયાત્રામાં પાટણ નગરશેઠ સહિત મોટી સંખ્યામાં જૈન સમાજના પરિવારજનો જોડાયા હતા. તો શહેરના બગવાડા દરવાજા ખાતે રંગબેરંગી પરિવાર દ્વારા શોભા યાત્રામાં જોડાયેલા જૈન સમાજના શ્રાવક-શ્રાવિકાઓ સહિત મહારાજ સાહેબોનું ભવ્ય સ્વાગત સન્માન પણ કરવામાં આવ્યું હતુ.ં પાટણ શહેર મધ્યે આવેલા ત્રિસ્તુતિક ઉપાશ્રય ખાતે વિવિધ ધાર્મિક ઉત્સવો પણ ઉજવવામાં આવ્યા હતા.

(3:13 pm IST)