ગુજરાત
News of Friday, 26th April 2019

'મોદી હૈ તો મુમકીન હૈ'ના નારા લગાવવાનું મંત્રીશ્રી વિભાવરીબેનને મોંઘુ પડયું : નોંધાઇ ફરિયાદ

આચારસંહિતાનો ભંગ : ટુંક સમયમાં ધરપકડ થવાના એંધાણ

અમદાવાદ તા. ૨૬ : રાજયના શિક્ષણમંત્રી (પ્રાથમિક અને ઉચ્ચતર) વિભાવરીબેન દવે સામે ગુરૂવારે આચારસંહિતા ભંગની ફરિયાદ નોંધાઈ. મંગળવારે ભાવનગરમાં લોકસભા ચૂંટણીના મતદાન વખતે વિભાવરીબેને કથિત રીતે આચારસંહિતાનો ભંગ કર્યો હતો. વિભાવરીબેન અને તેમના સમર્થકોએ પોલિંગ બૂથની અંદર 'મોદી હૈ તો મુમકીન હૈ'ના નારા લગાવ્યા હતા.

૨૩ એપ્રિલે ભાવનગરના ફુલવાડી ચોક વિસ્તારના પોલિંગ બૂથમાં વિભાવરીબેન અને તેમના સમર્થકોએ આ નારા લગાવ્યા હતા. સોશિયલ મીડિયા પર વિભાવરીબેન અને તેમના સમર્થકો 'મોદી હૈ તો મુમકીન હૈ'ના સૂત્રોચ્ચાર કરતા હોય તેવો વીડિયો વાયરલ થયો છે. આદર્શ આચારસંહિતા મુજબ કોઈપણ વ્યકિત મતદાન મથકના ૧૦૦ મીટરના વિસ્તારમાં પક્ષનો પ્રચાર ન કરી શકે.

ભાવનગરના નિલમબાગ પોલીસ સ્ટેશનના એક અધિકારીએ કહ્યું, 'ચૂંટણી અધિકારી કિરીટ શાહે ફરિયાદે કરતાં વિભાવરી દવે સામે ગુનો નોંધવામાં આવ્યો છે. ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવશે.'(૨૧.૭)

(11:35 am IST)