ઘરકામ-સફાઈકામ કરતી મહિલાઓને પરિવારોએ રજા આપી દેતા થઇ દયનીય હાલત
અમદાવાદ, તા.૨૬: કોરોનાથી ડરો.. બચો, ભાગો અને સલામતી અનુભવો એવી અફવાઓ અને જનતા કરફ્યૂ હજીયે ઘણા દિવસો સુધી લંબાતો રહેશે એવી અટકળો વચ્ચે અસંખ્ય લોકો શહેરમાંથી પોતાના માદરે વતન એવા ગામડાંઓ તરફ જવા માટે દોટ લગાવી રહ્યા છે જેમાં ઘરમાં સફાઈ, વાસીદુ કરતા દ્યરકામ કરનારાઓ અને રસોઈ કરતા રાજસ્થાનના મહારાજોનો પણ સમાવેશ થવા જાય છે.
રાજસ્થાનના ડુંગરપુરથી પેટિયું રળી ખાવા અમદાવાદમાં હંગામી મુકામ કરનારા દ્યરકામ કરનારાઓએ ગઈકાલે રવિવારે જનતા કરફ્યૂમાં રજા પાડી હતી એ પૈકીના કેટલાંયે ઘરકામ કરનારાઓ જે કોઈ વાહન મળ્યું એ વાહનમાં પરિવાર સાથે ડુંગરપુર જવા ઊપડી ગયા હતા. જયારે કેટલાંક આજે રવાના થયા હતા તો વળી થોડા ઘણા અમદાવાદમાં રોકાઈ ગયા છે, તેમણે પોતાના બાંધેલા પરિવારો નહીં પણ જેમના ઘરના ઘરકામ કરનારાઓ ડુંગરપુર જતા રહ્યા છે તેના બદલામાં કામ કરવા માટે કામના દરમાં વધારો કરી દીધો રોજના દોઢસો રૂ.ના બદલે અઢીસો રૂ.થી ત્રણસો રૂ. કરી દીધા હતા. દરમિયાન કોરોનાના શંકાસ્પદ કેસોનો વધારો થઈ રહ્યો છે અને હોમ કવોરન્ટાઇનમાં ઓર વધારો થઈ રહ્યો હોવાના ટી.વી. સમાચારોના કારણે અસંખ્ય પરિવારોએ આજે પોતાના ઘર નજીક રહેતા અને ઘરની સફાઈથી માંડી અન્ય કામ કરતી ગરીબ મહિલાઓને કામ પર નહીં આવવાની મનાઈ કરતા ગરીબ મહિલાઓ કામ વિહોણી બની ગઈ હતી. કેમ કે, સ્થિતિ કયારે કેટલા દિવસે સુધરશે તેની કોઈ મર્યાદા નથી. જયારે રસોઈ કરનારા મહારાજોએ તો સ્વેચ્છાએ ના પાડીને જયપુરની વાટ પકડતા ગૃહિણીઓને રસોડું પકડી લેવાની ફરજ પડી છે. બીજી તરફ શહેરની ફૂટપાથો પર બસર કરી રહેલા દ્યર વિહોણા ગરીબોને મ્યુનિ. સત્તાવાળાઓએ આજે મ્યુનિ.ના જુદા જુદા રૈનબસેરામાં મોકલી આપ્યા હતા.