લોકડાઉનનો બીજો દિવસ : રાજ્યમાં 490 લોકોએ જાહેરનામા અને 236 લોકોએ ક્વૉરન્ટીનનો ભંગ કર્યો
લોકોને ઘરેથી જીવન જરૂરિયાતની ચીજો ખરીદવા જવાની છૂટ છે પરંતુ ટોળું વળવાની છૂટ નથી: રાજ્ય પોલીસ વડા શિવાનંદ ઝા
અમદાવાદ : કોરોના વાયરસે સમગ્ર વિશ્વમાં કહેર વર્તાવ્યો છે ત્યારે દેશમાં લોકડાઉન જાહેર કરાયું છે અને રાજ્યમાં પોઝિટિવ કેસોની સંખ્યા 38 પર પહોંચી ગઈ છે.રાજ્યના પોલીસ વડાએ પત્રકારો સાથે વાતચીત કરતા કહ્યું હતું કે મંગળવારે રાત્રે 00 વાગ્યાથી પોલીસ ગૃહ વિભાગના જાહેરનામાનો અમલ કરાવી રહી છે. હાલ સુધી સમગ્ર રાજ્યમાં લોકડાઉનનો અમલ સફળ રહ્યો છે. છતાં રાજ્યમાં આ જાહેરનામાનો અને ક્વૉરન્ટીનો ભંગ કરનારા લોકો સામે કેસ નોંધવા પડ્યા છે. રાજ્યમાં જે લોકોએ જાહેરનાના અને હોમ ક્વોરન્ટીનનો ભંગ કર્યો છે તેમના સામે કેસ નોંધવા પડ્યા છે.
રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ ગાંધીનગરમાં પત્રકારોને માહિતી આપી હતી કે રાજ્યમાં ગઈકાલથી આજ સુધી જાહેરનામાના ભંગના 490 ગુના નોંધવામાં આવ્યા છે. આ ઉપરાંત ક્વૉરન્ટીનના ભંગ કરનારાના સામે 236 ગુના નોંધાયા છે. કુલ અત્યારસુધીમાં આ આંકડો એકઠો કરતા 726 ગુનાઓ કોરોના વાયરસને લગતા કાયદા તોડવા બદલ નોંધવામાં આવ્યા છે.
કોરોના મામલે આજે રાજ્ય પોલીસ વડાએ જણાવ્યું હતું કે, લોકડાઉનનો અમલ કડક કરાવવામાં આવી રહ્યો છે. પોલીસ લોકોને જીવન જરૂરીયાતની વસ્તુઓ મળે તે માટે મદદ કરી રહી છે. દવા, દૂધ, શાકભાજી લેવા આવતા લોકો સાથે સંયમથી વર્તવા પોલીસને સૂચના આપી છે.
રાજ્યના પોલીસ વડાએ જણાવ્યું કે આ મુસીબતના સમયમાં પોલીસ જનતાની સાથે છે. આ લૉકડાઉન જનતાના હિત માટે છે અને તેનો 90 ટકા અમલ થઈ રહ્યો છે. પોલીસ વ્યવસ્થા કરી છે અને લોકોને સરળતાથી જીવન જરૂરિયાતનો જથ્થો મળે તે માટે પોલીસ પણ મદદ કરશે. પોલીસે વેપારીઓને સોશિયલ ડિસ્ટન્સીંગ વિશે જાગૃત કર્યા છે અને દુકાનોની બહાર કૂંડાળા કરાવી અને અંતર રખાવ્યું છે.