ગુજરાત
News of Thursday, 26th March 2020

કોરોનાની સાયકલને રોકવા માટે લોકડાઉન ઉપયોગી છે

લોકડાઉનના ગાળાને પાર પાડવા અપીલ : કોરોનાને રોકવા જાગૃત-જવાબદાર રહેવું પડશે : જીતુ વાઘાણી

અમદાવાદ,તા.૨૫ :  પ્રદેશ ભાજપા મીડિયા વિભાગની એક અખબારી યાદીમાં જણાવ્યાનુસાર, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્ર જોગ સંદેશમાં સમગ્ર દેશમાં આગામી ૨૧ દિવસ સુધી કરેલ લોકડાઉનની જાહેરાતના અનુસંધાને ભાજપા પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ  ગુજરાતની જનતાને કેન્દ્ર સરકાર દ્વારા લોકડાઉનના સંદર્ભે જાહેર કરાયેલા નિયમો તેમજ રાજ્ય સરકાર દ્વારા અપાયેલ સૂચનાઓનું જાગૃત,જવાબદાર અને સંવેદનશીલ નાગરિક તરીકે પાલન કરવા માટે અપીલ કરી હતી. વાઘાણીએ જણાવ્યું હતું કે, કોરોના વાયરસના ફેલાવાને અટકાવવા માટે, કોરોના વાયરસના સંક્રમણની સાઇકલને તોડવા માટે આગામી ૨૧ દિવસ ગુજરાત સહિત સમગ્ર દેશ માટે અતિ મહત્વપૂર્ણ છે, પરિસ્થિતિની ગંભીરતાને અનુલક્ષીને જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સમગ્ર દેશમાં ૨૧ દિવસ સુધીનું લોકડાઉન જાહેર કર્યું છે. લોકડાઉનની જાહેરાતથી નાગરિકોએ ગભરાવવાની જરૂર નથી,

                    જીવન જરુરિયાતની તમામ વસ્તુઓ આગામી ૨૧ દિવસ સુધી મળતી રહેવાની છે. વાઘાણીએ રોજનું રળીને પોતાનું અને પરિવારનું ભરણપોષણ કરતા હોય છે તેવા જરૂરિયાતમંદ નાગરિકો માટે ભાજપાની રાજ્ય સરકારની રાશનની વ્યવસ્થા કરવાના નિર્ણયને આવકાર્યો હતો અને  સંસદ સભ્યઓ, ધારાસભ્યઓ, ભાજપાના પદાધિકારીઓ, અન્ય જનપ્રતિનિધિઓ, કાર્યકર્તાઓ, સામાજિક અને ધાર્મિક સંસ્થાઓને  મોટી સંખ્યામાં ભેગા થયા સિવાય તંત્રની મુશ્કેલી ન થાય તે રીતે, તંત્રના સાથ સહકાર સાથે જે તે વિસ્તારના જરૂરિયાત મંદ નાગરિકોને મદદ પહોંચે અને મદદથી કોઇ વંચિત ના રહે તે સુનિશ્ચિત કરવા આહવાન કર્યું હતું.ભાજપાનો કાર્યકર્તા આ સંવેદનશીલ સમયમાં મોટી સંખ્યામાં ભેગા થયા સિવાય પ્રત્યેક બુથ સુધી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા જાહેર કરાયેલ લોકડાઉનનું પાલન સ્વયંશિસ્તથી થાય તેની અગ્રેસર રહી ચિંતા કરે તેમ વાઘાણીએ જણાવ્યું હતું. મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના કોરોના સામેની લડતમાં સહાય માટે 'રાહત નિધિ' એકઠી કરવાના નિર્ણયને વાઘાણીએ આવકાર્યો હતો અને મંત્રીમંડળ તેમજ ભાજપાના તમામ ધારાસભ્યઓ તેમના પગારમાંથી રૂપિયા એક લાખનું અનુદાન આપશે તેની પણ જાહેરાત કરી હતી.

(10:07 pm IST)