ગુજરાત
News of Thursday, 25th February 2021

કોરોના મામલે ગુજરાત સૌથી પારદર્શક રાજ્ય: આંકડા છુપાવવાથી સરકારને શું ફાયદો?: વિજયભાઈ રૂપાણી

કોરોનાના આંકડા છુપાવવાના મહારાષ્ટ્ર કોંગ્રેસનાં નેતાના આરોપનો જવાબ આપતા મુખ્ય મંત્રી રૂપાણી

છોટા ઉદેપુર :સ્થાનિક સ્વરાજ્યની ચૂટણી પ્રચાર અર્થે રાજ્યના મુખ્ય પ્રધાન વિજયભાઈ  રૂપાણીએ છોટાઉદેપુર જિલ્લાના સંખેડામાં ચુટણી સભાને સંબોધી હતી. મુખ્યપ્રધાનનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જોકે મુખ્ય પ્રધાનની સભામાં લોકોની પાંખી હાજરી જોવા મળી હતી. બપોરના સમયે સભામાં મંડપ ન હોવાને લઈ લોકોને તડકામાં બેઠેલા જોઈ મુખ્યપ્રધાને પોતાના પ્રવચનની શરૂઆતમાં જ આયોજકો વતી લોકોની માફી માંગી હતી.

મુખ્યપ્રધાને કોર્પોરેશનના પરિણામોમાં કોંગ્રેસનાં સફાયો થયાની વાત કરતાં કોંગ્રેસ ઉપર આકરા પ્રહાર કર્યા હતા.

તાલુકા જિલ્લા પંચાયતની ચૂટણીમાં પણ જનતા કોંગ્રેસને જવાબ આપશે. મીડીયા સાથે વાત કરતાં મુખ્યપ્રધાને સ્થાનિક ધારાસભ્ય અભેસિંહ તડવીએ મતદારને ધમકાવવા અને મત નહીં આપો તો મને કોઈ ફેર નહીં પડે તેવા નિવેદનને લઈ ધારાસભ્યનો બચાવ કરતાં જણાવ્યુ હતું કે, અભેસિંહ તડવીએ પક્ષના જવાબદાર વ્યક્તિ છે અને વ્યક્તિગત રીતે વિરોધીઓએ આ વીડીયો બનાવ્યો હોવાનું જણાવ્યુ હતું 

કોરોનાના આંકડા છુપાવવાના મહારાષ્ટ્ર કોંગ્રેસનાં નેતાના આરોપનો જવાબ આપતા મુખ્ય પ્રધાને જણાવ્યુ હતું કે, આંકડા છુપાવવાથી સરકારને શું ફાયદો? આગામી છઠ્ઠી માર્ચના રોજ વડાપ્રધાન કેવડીયા ખાતે આવવાના હોવાની વાતની પણ મુખ્ય પ્રધાને પુષ્ટિ કરી છે. તેઓએ જણાવ્યું કે, હાલ મહારાષ્ટ્રએ રાજનીતિ કરવાના બદલે પોતાના નાગરિકોની સેવા કરવાની જરૂર છે. પોતાની લીટી મોટી કરવા માતે તેઓ અન્યની લીટી નાની કરી રહ્યા છે અયોગ્ય છે. આ રાજકારણ કરવાનો સમય નથી.

(12:30 am IST)