સુરતના અમરોલીમાં રાત્રીના સમયે જાહેરમાં અપશબ્દો બોલનાર માથાભારે શખ્સોને ઠપકો આપતા યુવાન પર ચપ્પુથી જીવલેણ હુમલો
સુરત: શહેરના અમરોલી ગામ નવા હળપતિ વાસ મહોલ્લામાં પાંચેક દિવસ અગાઉ રાત્રિના સમયે જાહેરમાં ગાળાગાળી કરનાર બે માથાભારે તત્વોને ઠપકો આપનાર યુવાનને પટેના ભાગે ચપ્પુના ઘા ઝીંકી દેતા સ્મીમેર હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મોત નીપજયું હતું.
અમરોલી-જુના કોસાડ રોડ સ્થિત નવા હળપતિ વાસ મહોલ્લામાં રહેતો અને કલરકામની મજૂરી કામ કરતો શ્રાવણ ઉર્ફે સાવંત પિરાજી શિન્દે (ઉ.વ. 34) પાંચેક દિવસ અગાઉ રાત્રે 8.30 કલાકે ઘરે જઇ રહ્યો હતો. ત્યારે રહેણાંક મહોલ્લામાં જય માતાજી કિરાણા સ્ટોર્સ નજીક બે યુવાનો જાહેરમાં ગાળાગાળી કરી રહ્યા હતા. જેથી શ્રાવણે બંન્ને યુવાનને જાહેરમાં ગાળાગાળી નહિ કરો એમ કહી ઠપકો આપ્યો હતો. ઠપકો આપતા વેંત બંન્ને યુવાનો ઉશકેરાયા હતા અને શ્રાવણ સાથે ઝઘડો કરી ચપ્પુ વડે હુમલો કર્યો હતો અને પેટના ભાગે ત્રણથી ચાર ઘા ઝીંકી દઇ બંન્ને યુવાનો ભાગી ગયા હતા. લોહીલુહાણ હાલતમાં શ્રાવણને તુરંત જ સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જેનું આજ રોજ સવારે સારવાર દરમ્યાન મોત થતા અમરોલી પોલીસે ચપ્પુ વડે હુમલો કરનાર બે યુવાન વિરૃધ્ધ હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. તપાસ અંતર્ગત પોલીસે બે પૈકી દિપુસીંગ દેશરાજસીંગ રાજપુત (રહે. શિવનગર સોસાયટી, જુના કોસાડ રોડ, અમરોલી) ની ધરપકડ કરી છે. જયારે તેના મિત્ર રવિ બિહારીની શોધખોળ હાથ ધરી છે.