નડિયાદના મંજીપુરામાં પરિણીતાને શારીરિક-માનસિક ત્રાસ ગુજારી જાનથી મારી નાખવાની ધમકી આપતા ચકચાર
નડિયાદ:ના મંજીપુરાની પરિણીતાને શારીરિક માનસિક ત્રાસ ગુજારી પેટ્રોલ છાંટી સળગાવી મારવાની ધમકી આપ્યાના બનાવ અંગે નડિયાદ મહિલા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.
પોલીસ સૂત્રોમાંથી મળેલ વિગત મુજબ નડિયાદ મંજીપુરા રોડ અમરનાથ સોસાયટીમાં રહેતા રાજેશભાઈ નટવરભાઈ મકવાણાના લગ્ન બે વર્ષ પહેલાં ઓઢવ અમદાવાદમાં રહેતા પરાગભાઈ પૂંજાભાઈ રોહિતની દીકરી સુશીલા સાથે થયા હતાં. લગ્નની શરૂઆતમાં પતિ-પત્નીનું લગ્નજીવન સુખરૂપ ચાલ્યું હતું. બાદમાં સાસરિયા ઘરકામ જેવી નજીવી બાબતે ઝઘડો કરી હેરાન પરેશાન કરતા હતાં. એટલું જ નહીં સાસુ, નણંદ તેમજ સાસરિયા પત્નીને કંઈ ઘરકામ આવડતું નથી તેમ જણાવીને ઘરમાંથી કાઢી મૂકવા ઉશ્કરણી કરતા હતાં. જ્યારે પતિ રાજેશભાઈ પત્ની સુશીલાબેનને તારે ઘરમાં રહેવું હોય તો નોકરાણી તરીકે રહેવું પડશે, નહીં તો જતી રહે મારે છોકરાની જરૂર છે તારી જરૂર નથી અને તારે જુદા રહેવું હોય તો તારા પિતાને કહે મકાન લઈ આપે કહી બોલાચાલી કરી ગાળો બોલી માર માર્યો હતો. તેમજ પરિણીતાને પેટ્રોલ છાંટી સળગાવી દેવાની ધમકી આપવામાં આવી હતી.
આ બનાવ અંગે સુશીલાબેન પરાગભાઈ રોહિતની ફરિયાદ આધારે નડિયાદ મહિલા પોલીસે રાજેશભાઈ નટવરભાઈ, પ્રેમિલાબેન નટવરભાઈ, નટવરભાઈ રણછોડભાઈ, સંજયભાઈ નટવરભાઈ તેમજ જ્યોતિબેન હરીશભાઈ મકવાણા સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.