ગુજરાત
News of Monday, 26th February 2018

રાત્રે ઘરનો દરવાજો ખોલવામાં વાર લાગતા પતિએ લોખંડની પંજેઠી મારતા પત્ની ગંભીર

કાલોલના બાકરોલ ગામનો બનાવ :પત્નીને વડોદરા સારવાર માટે ખસેડાઇ

કાલોલના બાકરોલ ગામે રાતે બહારગામ ગયેલા પતિએ ઘરનો દરવાજો ખોલવામાં વાર થતાં પોતાની પત્ની સાથે ઝઘડો કરીને લોખંડની પંજેઠી મારતા પત્નીને ગંભીર ઇજાઓ પહોંચાડી હતી કાલોલ પોલીસે પતિ વિરૂદ્ધ ગુનો નોંધ્યો છે. જયારે પત્નીને વધુ સારવાર માટે વડોદરા ખસેડવામાં આવી છે.

   ફરિયાદની વિગત મુજબ કાલોલ તાલુકાના બાકરોલ ગામે રહેતા રાજેન્દ્રસિંહ મંગળસિંહ ગોહિલ સાંજે કયાંક ઘરની બહાર ગયા હતા રાત્રે ઘરે આવતા મોડુ થતાં રાત્રે ત્રણ વાગ્યાના સુમારે ઘરે આવી બારણું ખખડાવતા ઘરમાં બાળકો સાથે સુતેલી પત્ની જયાબેનને બારણું ખોલવામાં વાર લાગતા રાતે પતિ- પત્ની વચ્ચે બોલાચાલી થઇ હતી ત્યારે ગુસ્સામાં આવી જઇને પતિએ ઘરના ખૂણામાં પડી રહેલી ખેતીકામમાં વપરાતી લોખંડની પંજેઠીની ત્રણ- ચાર ઘા માથામાં ઝીંકી દેતા પત્ની લોહીલુહાણ થઇ ગઇ હતી.જેથી માથાના ભાગે ગંભીર રીતે ઇજાગ્રસ્ત બનેલી જયાને ફળિયાના સગા સંબંધીઓએ ૧૦૮ મારફતે કાલોલ રેફરલમાં લઇ ગયા હતા. જયાંથી વધુ સારવાર અર્થે વડોદરા એસએેસેજી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.
   બે સંતાનોની માતા એવી ૩૪ વર્ષીય જયાબેનની હાલત ગંભીર હોવાનું પરિવારજનોએ જણાવ્યુ હતું. જેથી જયાબેનની માતા તેજુબેન ઉદાભાઇ સોલંકીએ તેમના જમાઈ રાજેન્દ્રસિંહ મંગળસિંહ ગોહિલ વિ
રૂદ્ધ કાલોલ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવ્યો હતો.

(1:18 pm IST)