ગુજરાત
News of Thursday, 26th January 2023

ભાજપ-કોંગ્રેસના ચૂંટણી હારેલા ૪ ઉમેદવારોએ હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા

લલિત કગથરા, હર્ષદ રીબડિયા, રધુ દેસાઈ અને હિતેષ વસાવાએ હાઈકોર્ટમાં ઈલેક્શન પિટિશન ફાઈલ કરી

અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામ ડિસેમ્બરમાં જાહેર થયા. જેમાં ભાજપને 156 સીટો મળી છે, જ્યારે કોંગ્રેસના ફાળે માત્ર 17 સીટો આવી. ત્યારે ચૂંટણીના પરિણામ બાદ હવે કોંગ્રેસ અને ભાજપના હારેલા ઉમેદવારોએ હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા છે. કોંગ્રેસના હારેલા ઉમેદવાર લલિત કગથરા, વિસાવદરથી ભાજપના હારેલા ઉમેદવાર હર્ષદ રીબડિયા, રાધનપુરથી હારેલા કોંગ્રેસના રધુ દેસાઈ અને ડેડિયાપાડાથી ભાજપના હારેલા ઉમેદવાર હિતેષ વસાતવાએ હાઈકોર્ટમાં ઈલેક્શન પિટિશન ફાઈલ કરી છે. જેના પર આગામી દિવસોમાં સુનાવણી હાથ ધરવામાં આવશે.

આ અરજીમાં લલિત કગથરાએ કહ્યું છે કે, ટંકારાથી વિજેતા ઉમેદવારના ફોર્મ સાથે જોડાયેલા સોગંદનામામાં અનેક ભૂલો હોવાનું તથા શિક્ષણ અંગે કોઈ સ્પષ્ટતા નથી, મિલકતની યોગ્ય માહિતી નથી, કાર હોવા છતા દર્શાવી નથી તથા ફોર્મમાં અનેક ખાના બાકી રાખ્યા હોવાનું જણાવ્યું છે. ફોર્મમાં આવી અનેક ભૂલો હોવા છતા રિટર્નિંગ ઓફિસરને રજૂઆત કરવામાં આવી છતાં તેને રદ ન કર્યું હોવાનું કહેવાયું છે.

બીજી તરફ કોંગ્રેસમાંથી ભાજપમાં પક્ષપલટો કરીને 2022ની ચૂંટણી લડનારા હર્ષદ રિબડિયાએ પોતાની અરજીમાં રજૂઆત કરી છે કે, તેમની સામેના વિજેતા ઉમેદવારે પોતાની સામે ભ્રષ્ટાચાર અને ઉચાપતના કેસની થયેલી કામગીરીને છુપાવી છે. આ સાથે દીકરાઓના કારખાનાની વિગતો પણ પોતાના ફોર્મમાં દર્શાવી નથી.

આ તમામ અરજદારોએ રિપ્રેઝન્ટેશન ઓફ ધ પીપલ એક્ટ-1951 હેઠળ અરજી કરી છે. આ અરજીમાં અરજદારોએ રિટર્નિંગ ઓફિસર સહિત ચૂંટણી પંચને પક્ષકાર બનાવ્યા છે. ત્યારે આગામી દિવસોમાં આ અરજી પર સુનાવણી થશે. ત્યારે કોર્ટ દ્વારા શું ચૂકાદો આપવામાં આવે છે તે ખાસ જોવાનું રહેશે.

(2:09 pm IST)