કાયદો જ સર્વોપરી છેઃ જજો પણ ન્યાય પ્રણાલીથી ઉપર નથી : હાઈકોર્ટ
હાઈકોર્ટે ૯ જજને ખખડાવ્યા : શો કોઝ નોટિસ આપી કાયદાનું ભાન કરાવ્યું
અમદાવાદ,તા.૨૫ : ગુજરાત હાઈકોર્ટે એક સુનાવણીમાં નીચલી કોર્ટના ૯ જજોને અવમાનનાની નોટિસ ફટકારી છે. આ નોટિસથી કાયદા જગતમાં સોપો પડી ગૉયો છે. હાઈકોર્ટે સુનાવણી દરમિયાન કહ્યું કે, કાયદો જ સર્વોપરી છે, જજો પણ ન્યાય પ્રણાલીથી ઉપર નથી. ત્યારે હાઈકોર્ટે જજ માટે આકરા તેવર બતાવ્યા છે,
પ્રોપર્ટીના વિવાદમાં ૧૯૭૭માં દાખલ થયેલા એક સ્યૂટનો નિકાલ ન થવાના મામલે હાઇકોર્ટના ચીફ જસ્ટિસ અરવિંદ કુમાર અને જસ્ટિસ એ.જે. શાસ્ત્રીની ખંડપીઠે આ મામલે ૯ જેટલા જ્યુડિશિયલ અધિકારીઓ(જજો)ને શો કોઝ નોટિસ પાઠ?વી હતી. જેમાં બે જજ દ્વારા જવાબ રજૂ કરાયા હતા અને બિનશરતી માફી માગી હતી.
પરંતુ આ જવાબથી હાઇકોર્ટે અસંતોષ વ્યકત કર્યો હતો અને નવેસરથી જવાબ રજૂ કરવા આદેશ કરી કેસની સુનાવણી ફેબ્રુઆરીમાં કરવાનું જણાવ્યું છે. નીચલી અદાલતના જજોના આ પ્રકારના ઓર્ડરના લીધે ૧૨૦ જેટલા કેસ પેન્ડિંગ છે.
સુનાવણી દરમિયાન હાઈકોર્ટે આકરા શબ્દોમાં કહ્યું કે, કન્ટેમ્પ્ટ કરનાર જજ છે ત્યારે એ વાતનું ધ્યાન રાખવું પડે કે તેઓ પણ ન્યાયિક પ્રક્રિયાથી ઉપર નથી. તેઓ સિસ્ટમને હળવાશથી લઈ શકે નહીં. તેમણે જે જવાબ રજૂ કર્યો છે તેમાં એક પણ શબ્દ એવો નથી કે જે દર્શાવે છે કે તેમણે હાઇકોર્ટના નિર્દેશોનો અમલ કર્યો હોય.
એકવાર ઉચ્ચ અદાલત હુકમ કરે ત્યારબાદ નીચલી કોર્ટના જજની ફરજ છે કે તેઓ તે આદેશનો અમલ કરે. એવા કોઈ બહાના ચલાવી લેવાય નહીં કે તેમના નીચેના કર્મચારીઓએ ધ્યાન દોર્યું ન હતું અને એના કારણે હાઇકોર્ટના આદેશનો અમલ થઈ શક્યો નહીં. જો ભવિષ્યમાં આ પ્રકારનું વલણ દાખવાશે તેની ગંભીર નોંધ લેવાશે. ૧૯૭૭થી ચાલી રહેલા જમીનના કેસમાં હાઈકોર્ટે નીચલી કોર્ટના ૯ જજોને નોટીસ પાઠવીને ટકોર કરી હતી. સાથે જ કોર્ટે કહ્યું કે, જજો કોઈ કલાર્ક કે અન્ય સ્ટાફ હોતા નથી, તેઓ જજ હોય છે ત્યારે તેમનું આ રીતનું વર્તન ચલાવી લેવાય નહીં.