મહાનગરોની ચૂંટણીના ઉમેદવારો કોણ ?: પસંદગી માટે ભાજપ પાર્લામેન્ટરીની 29મીથી ત્રણ દિ' બેઠક
સેન્સના આધારે નિરીક્ષકો દ્વારા પ્રદેશ નેતાગીરીને રિપોર્ટ સોંપવાનું શરૂ કરી દીધું
અમદાવાદ : આગામી તા. 21મી ફ્રેબુઆરીના રોજ રાજયના છ મહાનગરપાલિકાઓ અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, ભાવનગર અને જામનગરની ચૂંટણીનું મતદાન થશે. આ ચૂંટણીમાં ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખ 6ઠ્ઠી ફ્રેબુઆરી છે. આ ચૂંટણીને લઇને ભાજપમાં ઉમેદવારોની પસંદગી માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. 24 અને 25મી જાન્યુઆરીના રોજ નિરીક્ષકો દ્વારા કાર્યકર્તાઓને સાંભળીને સેન્સ લેવામાં આવી હતી. આ સેન્સના આધારે નિરીક્ષકો દ્વારા પ્રદેશ નેતાગીરીને રિપોર્ટ સોંપવાનું શરૂ કરી દીધું છે. આવતીકાલ 27મી જાન્યુઆરી સુધીમાં તમામ મહાનગરપાલિકાઓના નિરીક્ષકો દ્વારા પોતાના રિપોર્ટ રજૂ કરી દેવામાં આવશે. બાદમાં કઇ મહાનગરપાલિકાના કયા વોર્ડમાં કેટલાં ઉમેદવારોએ દાવેદારી કરી છે તેનો આંકડો સ્પષ્ટ થશે
આ રિપોર્ટના આધારે આગામી તા. 29,30 અને 31મી જાન્યુઆરીના રોજ ભાજપની પાર્લામેન્ટરીની બેઠક યોજાશે. આ બેઠકોમાં વોર્ડ દીઠ ઉમેદવારોની પેનલો તૈયાર કરવામાં આવશે. આ પ્રક્રિયાને લઇને ભાજપ પક્ષની ઓફીસમાં કાર્યકર્તાઓની અવરજવર વધી જતાં ધમધમાટ શરૂ થઇ ગયો છે
અમદાવાદ શહેરમાં સાતેક વિધાનસભાના પેજ પ્રમુખનું કાર્ડ વિતરણ કાર્ય પુર્ણ થઇ ગયું છે. બાકી રહેલાં વટવા તથા અમરાઇવાડી વિધાનસભા મતવિસ્તારના પેજપ્રમુખોને કાર્ડ વિતરણ આવતીકાલે તા. 27મી જાન્યુઆરીના રોજ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલની ઉપસ્થિતિમાં કરવામાં આવશે