સમસ્ત માલધારી સમાજની ગુરુગાદી તરભ વાળીનાથ અખાડા ધામના બ્રહ્મલીન મહંત પૂ. બળદેવગીરીજી મહારાજને સમાધિ અપાઇ
અમદાવાદ : સમસ્ત માલધારી સમાજની ગુરુગાદી તરભ વાળીનાથ અખાડા ધામના મહંતશ્રી બળદેવગિરિજી મહારાજ ટૂંકી માંદગી બાદ ગુરુવારે સાંજે બ્રહ્મલીન થતાં સમગ્ર માલધારી સમાજ, સંતો સહિત શ્રદ્ધાળુઓમાં ઘેરા શોકની લાગણી પ્રસરી છે. શુક્રવારે બાપુના નશ્વર દેહને દર્શન માટે મૂકાયો હતો, તેઓશ્રીના અંતિમ દર્શને મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા સાંજે તેઓને સમાધિ અપાઈ હતી
વિસનગર તાલુકાના તરભ ગામમાં સમગ્ર માલધારી સમાજની આસ્થાના કેન્દ્ર શ્રી વાળીનાથ અખાડા ધામના મહંત પ.પૂ.ધ.ધૂ. ૧૦૦૮ શ્રી બળદેવગિરિજી મહારાજની તબિયત કેટલાક સમયથી નાદુરસ્ત થતાં તેમને અમદાવાદમાં સારવાર આપ્યા બાદ તરભ લાવવામાં આવ્યા હતા. ૧૦૩ વર્ષના બાપુના સારા સ્વાસ્થ્ય માટે લાખો શ્રદ્ધાળુઓ પ્રાર્થના કરી રહ્યા હતા. દરમિયાન ગુરુવારે વાળીનાથ ભગવાનની સાંજની આરતી લીધા બાદ ૭-૩૦ વાગ્યાના સમયે તેઓ બ્રહ્મલીન થયા હતા. બાપુ બ્રહ્મલીન થયાની જાણ થતાં જ સમગ્ર રબારી-માલધારી સમાજ સહિત શ્રદ્ધાળુઓમાં ઘેરા શોકની લાગણી પ્રસરી હતી. ગુરુવારે સાંજે જ મોટી સંખ્યામાં ભાવિકો તેમનાં દર્શન માટે આવ્યા હતા.
આજે શુક્રવારે સવારે ૮ વાગ્યાથી બાપુનાં અંતિમ દર્શન શ્રદ્ધાળુઓ કરવા આવી રહ્યાં હતા ત્યાર બાદ , બપોરે ૩-૩૦ વાગ્યે બાપુની શોભાયાત્રા બાદ સાંજે ૫ વાગ્યા બાદ સમાધિ અપાઈ હતી