અમદાવાદ જિલ્લાના ફતેવાડી નહેર તથા ખારીકટ નહેર કમાન્ડ વિસ્તારના ખેડૂતો માટે રવિ પાકોની સિંચાઈ માટે 15 માર્ચ સુધી પાણી છોડવાનો ખેડૂતલક્ષી મહત્વનો નિર્ણય
નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલની મોટી જાહેરાત : આશરે 980 ક્યુસેક પાણી છોડવાના આ નિર્ણયથી આ વિસ્તારના ખેડૂતોને રવિ પાકોની સિંચાઇમાં ખૂબ જ ફાયદો થશે
અમદાવાદ : નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે જણાવ્યું છે કે ખેડૂતોના હિતને વરેલી રાજ્ય સરકારે ખેડૂતોને સહાયરૂપ થવા અનેકવિધ નિર્ણયો લીધા છે, ત્યારે અમદાવાદ જિલ્લાના ફતેવાડી નહેર તથા ખારીકટ નહેર કમાન્ડ વિસ્તારના ખેડૂતો માટે નર્મદા યોજનાની મુખ્ય નહેર પર સાબરમતી એસ્કેપ મારફતે સિંચાઈ માટે આશરે ૯૮૦ ક્યુસેક પાણી છોડવાનો વધુ એક ખેડૂતલક્ષી નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે.
નાયબ મુખ્યમંત્રી પટેલે ઉમેર્યું કે આ નિર્ણયથી અમદાવાદ જિલ્લાના ફતેવાડી નહેર કમાન્ડ યોજના વિસ્તારના દસ્ક્રોઇ, બાવળા, સાણંદ, ધોળકા અને વિરમગામ તાલુકાઓના આશરે ૨૫,૦૦૦ હેક્ટર વિસ્તારમાં તથા ખારીકટ નહેર યોજના કમાન્ડ વિસ્તારના બારેજા, દસ્ક્રોઇ અને માતર તાલુકામાં આશરે ૨૮૦૦ હેક્ટર વિસ્તારમાં સિંચાઇનું પાણી તાત્કાલીક અસરથી છોડવામાં આવેલ છે, જેથી આ વિસ્તારના ખેડૂતોને રવિ પાકો માટે ૧૫ માર્ચ ૨૦૨૦ સુધી સિંચાઇના પાણીનો લાભ મળશે.
વધુમાં, ઉત્તર ગુજરાતમાં સુજલામ સુફલામ પાઇપલાઇનથી જે તળાવો સીધા જોડાયેલા છે તેમાં ખેડૂતોની માંગણી આવેથી નિયમોનુસાર કાર્યવાહી કરી તળાવો ભરી આપવામાં આવશે.