ગાંધીનગરમાં રખડતા ઢોરોના ત્રાસથી રાહદારીઓને અવરજવર કરવામાં હાલાકી
ગાંધીનગર:કોર્પોરેશન વિસ્તારમાં રખડતાં ઢોરો અંગે જાહેરનામું તો બહાર પાડવામાં આવ્યું હતું પરંતુ વર્ષોથી કાગળ ઉપર રહેલાં આ જાહેરનામાનો અમલ થતો ન હોય તેમ સેક્ટરોમાં પણ રખડતાં ઢોરોનો ત્રાસ દિન પ્રતિદિન વધી રહ્યો છે ત્યારે શહેરમાં સમાવિષ્ટ કરાયેલાં સરગાસણ વિસ્તારમાં પણ છેલ્લા ઘણા સમયથી આ સમસ્યાનો સામનો સ્થાનિક વસાહતીઓ કરી રહ્યાં છે. સરગાસણમાં આવેલી સોસાયટીઓમાં અસંખ્ય પરિવારો વસવાટ કરી રહ્યાં છે ત્યારે મુખ્ય અને આંતરિક માર્ગોની આસપાસ ઢોરો અડીંગો જમાવીને બેસી રહેતાં અવર જવર કરવામાં પણ અનેક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. વાહનચાલકો તેમજ રાહદારીઓને પણ અકસ્માતના ભયે પસાર થવાની નોબત આવી છે. તંત્ર દ્વારા આ વિસ્તારમાં રખડતાં ઢોરોને પકડવા માટે ઝુંબેશ શરૂ કરવામાં આવે તેવી માંગ પણ ઉઠવા પામી છે.