બંગાળની ખાડીમાં સર્જાયેલા ચક્રવાતના કારણે ગુજરાતના વાતાવરણમાં બદલાવઃ માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી
અમદાવાદ : જમ્મુકાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં થયેલી વ્યાપક બરફવર્ષાની અસર ગુજરાત પર થવા માંડી છે. આખરે રાજ્યમાં ઠંડીનુ જોર એકાએક જોવા મળી રહ્યુ છે. ત્યારે આજે રાજ્યના કેટલાય શહેરોમાં તાપમાનનો પારો નીચે જોવા મળ્યો છે. જેમાં 11.5 ડિગ્રી તાપમાન સાથે રાજ્યનું પાટનગર ગાંધીનગર સૌથી ઠંડુ રહ્યુ છે. તો અમદાવાદ શહેરમાં પણ પારો ગગડીને 12.8 જોવા મળ્યો છે. આ ઉપરાંત અમરેલી, કેશોદ, રાજકોટ અને વડોદરા સહીતના શહેરોમાં પણ તાપમાન નીચું જોવા મળ્યુ છે.
નોંધનીય છે કે બંગાળી ખાડીમાં સર્જાયેલા ચક્રવાતના કારણે પણ રાજ્યના વાતાવરણમાં બદલાવ જોવા મળી રહ્યો છે. જેના કારણે ગુજરાતના વિવિધ શહેરોમાં વાદળછાયુ વાતાવરણ સર્જાયુ છે. ત્યારે હવામાન વિભાગે આગામી દિવસોમાં ઠંડી વધવાની આગાહી કરી છે. રાજ્યમાં વધ્યુ ઠંડીનું જોર વધતા નાગરિકો ઠુંઠવાયા છે. વાદળછાયુ વાતાવરણ સર્જાતા ઠંડી વધી છે. રાજ્યના કેટલાય શહેરોમાં તાપમાનનો પારો 12 થી 13 ડિગ્રી આસપાસ નોંધાયો છે.
રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત છે. બે થી ત્રણ દિવસ તાપમાન યથાવત રહેશે. બંગાળની ખાડીમાં બે વાવાઝોડા સક્રિય છે. પરંતુ બંને વાવાઝોડાની ગુજરાતને અસર નહિ થાય. અરબી સમુદ્ર વાવાઝોડું સક્રિય હોવાના કારણે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે.